ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-02 15:02:46
  • Views : 70
  • Modified Date : 2026-02-02 15:02:46

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરુ કરી દીધું છે. રવિવારે પાકિસ્તાન સરકારે સત્તાવાર એક્સ હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઇ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય. પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ત્યારે હવે પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. 

BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ પાકિસ્તાનના સ્ટેન્ડ પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, 'જ્યાં સુધી ICC સાથે કોઈ વાતચીત નહીં થાય ત્યાં સુધી BCCI આગળ કોઈ નિર્ણય નહીં લેશે. ICC એક મોટું નિવેદન જારી કર્યું છે, જેમાં સ્પોર્ટસમેનશિપ અંગે વાત કરી છે. અમે ICC સાથે સંપૂર્ણપણે સંમત છીએ. જ્યાં સુધી અમે ICC સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી BCCI મામલે કોઈ કોમન્ટ નહીં કરશે.'

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત સામે આગામી પુરુષ T20 વર્લ્ડ કપ મેચ નહીં રમશે. બંને દેશો વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી, પરંતુ પાકિસ્તાન સરકારે ટીમને કેટલીક શરતો સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી આપી છે. જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ નહીં રમાશે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલૅન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરુ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવું નાટક શરુ કરી દીધું છે.


 


Download Our B K News Today App



Related News