નાણામંત્રીએ લોકસભામાં બે વખત જમાઈ શબ્દ ઉચ્ચાર્યો; કહ્યું- એક પાર્ટીના બે લોકો દીકરી-જમાઈ સંભાળે છે, પણ અમારી અંગત દેશની સામાન્ય જનતા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 13:21:28
  • Views : 343
  • Modified Date : 2021-02-13 13:21:28

    નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ ભાષણ અંગે ચર્ચાનો જવાબ આપ્યો. સીતારમણે લોકસભામાં તેમની સ્પીચમાં બે વખત જમાઈનો ઉલ્લેખ કર્યો. તેમનો ઈશારો સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા તરફ હતો, પણ તેમણે નામ ન લીધું. સીતારમણે રાહુલ ગાંધીના એ નિવેદન અંગે જવાબ આપ્યો, જેમાં કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે દેશને 4 લોકો ચલાવે છે; અમે બે અને અમારા બે. નાણામંત્રી રાજ્યસભામાં પણ આ પ્રકારનો કટાક્ષ કરી ચૂક્યા છે.

    રાહુલના અમે બે અમારા બેવાળા નિવેદન અંગે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમે અને અમારા બેનો અર્થ છે કે બે લોકો પાર્ટીને સંભાળશે અને બે અન્ય લોકો છે, જેમને સંભાળવાનો છે એટલે કે દીકરી અને જમાઈ. અમે આવું નથી કરતા. અમે 50 લાખ સ્ટ્રીટ ટ્રેડર્સને એક વર્ષ સુધી 10 હજાર આપ્યા. આ સ્ટ્રીટ વેન્ડર્સ કોઈના ઘનિષ્ઠ મિત્ર નથી.નિર્મલા આટલે જ ન અટક્યાં. તેમણે કહ્યું હતું કે જે લોકો અમારી પર સતત આરોપો લગાવી રહ્યા છે કે અમે ઘનિષ્ઠો માટે કામ કરીએ છીએ, તેમને જણાવી દઉં કે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના કોઈ અંગત માટે નથી. તો આ તરફ જમાઈને એવાં રાજ્યોમાં જમીનો વહેંચવામાં આવી, જેમાં એક સમયે અમુક પાર્ટીઓનું શાસન હતું, જેમ કે રાજસ્થાન હરિયાણામાં. અમારા અંગત કોણ છે? અમારા અંગત આ દેશની સામાન્ય જનતા છે.

    સીતારમણે આગળ કહ્યું, મહામારીમાં પણ સરકારે પ્રોત્સાહન અને સુધારા જેવાં કામ કર્યાં છે. આવી પડકારજનક સ્થિતિ પણ સરકારને આ દેશમાં વિકાસ જાળવી રાખવા માટે જરૂરી સુધારા પર નિર્ણય લેવા માટે ન અટકાવી શકે. શશિ થરૂર અહીં હાજર છે. કેરળમાં જ્યારે તેમની પાર્ટીની સરકાર હતી ત્યારે આ લોકોએ એક અંગતને અહીં બોલાવ્યો હતો. કોઈ ટેન્ડર ન કાઢવામાં આવ્યું અને એક પોર્ટ ડેવલપમેન્ટનું કામ આપી દીધું અને આ લોકો અમને ક્રોની કેપિટલિસ્ટ કહે છે?

    તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન સ્વનિધિ યોજનાથી ગરીબોને ફાયદો થયો છે, દલિતો અને પછાતોને ફાયદો થયો છે. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ અનુભવો પર આધારિત છે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને મજબૂતાઈ આપનારું છે. મહામારી છતાં દેશ આત્મનિર્ભર બનશે. બજેટમાં જે રિફોર્મ્સની જોગવાઈ કરાઈ છે એને કારણે ભારતમાં દુનિયાની ટોપ ઈકોનોમી બનવાનો રસ્તો સ્પષ્ટ થશે.

    તેમણે કહ્યું હતું, આ બજેટમાં મહામારી વચ્ચે પણ તક શોધવામાં આવી છે. દુનિયાના ઘણા દેશોમાં કોરોના ફરીથી પોતાનો પ્રકોપ દેખાડી રહ્યો છે. ભારતમાં કોરોના પર કંટ્રોલને કારણે ઈકોનોમીએ ગતિ પકડી છે. અમે વડાપ્રધાન મોદીના લક્ષ્ય આત્મનિર્ભર ભારત તરફ પગલાં ભર્યાં છે.


Download Our B K News Today App



Related News