7 દિવસની અંદર 55 લાખથી વધુ લોકો સંક્રમિત થયા, 80 હજાર લોકોનાં મોત નીપજ્યાં; 10 દેશમાં કોવિડની ચોથી વેવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 17:55:57
  • Views : 580
  • Modified Date : 2021-04-21 17:55:57

    દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંક ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 7 દિવસની અંદર વિશ્વમાં 55 લાખ 23 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ આંકમાં 12 ગણો વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહે 80 હજાર 323 દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે મૃત્યુદરમાં પણ 7 ટકાનો વધારો નોંધાયો છે.

    છેલ્લા 24 કલાકા આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન 8 લાખ 25 હજાર લોકો સંક્રમિત થયા છે. 2.94 લાખ દર્દી સાથે ભારતમાં સૌથી વધુ સંક્રમિતો મળી આવ્યા હતા, બ્રાઝિલમાં 73 હજાર, તુર્કીમાં 61 હજાર અને અમેરિકામાં 60 હજાર લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. મંગળવારના રોજ સમગ્ર વિશ્વમાં 13 હજાર 905 કોવિડ પોઝિટિવ દર્દીનાં મોત નીપજ્યાં હતાં.ભારતમાં અત્યારે કોરોનાની ચોથી લહેર આતંક મચાવી રહી છે, એવામાં વિશ્વમાં કેટલાક એવા પણ દેશો છે, જ્યાં કોરોનાની ચોથી વેવ ચાલી રહી છે. આમાં બ્રાઝિલ, તુર્કી, ફ્રાન્સ, આર્જેન્ટીના, ઈરાન, કોલંબિયા, જર્મની, ઈટાલી, પેરુ અને પોલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં પ્રત્યેક દિવસે 10 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોવિડને કારણે સૌથી ખરાબ પરિસ્થિતિ હાલ બ્રાઝિલ અને તુર્કીની જણાઈ રહી છે.

    કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે સમગ્ર દુનિયામાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે, જેનો સારોએવો પ્રભાવ પણ જણાઈ રહ્યો છે. વેક્સિનેશન પછી મહામારીની સ્થિતિ કાબૂમાં આવી હોય એનું મુખ્ય ઉદાહરણ બ્રિટન છે. 7 સપ્ટેમ્બરના રોજ અહીં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ મૃત્યુઆંક ધીમે-ધીમે વધતો ગયો હતો. વેક્સિનેશનના કાર્યક્રમને વેગ આપ્યા પછી અહીં માત્ર ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આની સાથે ગત સોમવાર કરતાં કોરોના મહામારીને પગલે મૃત્યુ પામનાર દર્દીની ટકાવારીમાં પણ 70 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્રિટનમાં નવા સંક્રમિતોના આંકડાઓમાં પણ 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    ગત સપ્તાહે અહીં 3568 કોવિડ દર્દી નોંધાયા હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં 2963 કેસ સામે આવ્યા છે. વેક્સિનેશનથી સારો પ્રભાવ જણાતાં બ્રિટન ઘણું ઉત્સાહિત જણાઈ રહ્યું છે. અહીંના તમામ નાગરિકોને પ્રશાસન આ વર્ષે બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ડોઝથી કોરોનાના કોઈપણ પ્રકાર સામે લડવામાં મદદ મળે છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમને કોઈપણ કાળે જૂન સુધી લોકડાઉનથી સંપૂર્ણ રીતે બહાર નીકળવું છે. જેથી જુલાઈના અંત સુધીમાં તમામ પુખ્તવયના લોકોને વેક્સિનના ડોઝ આપી દેવાશે. અત્યારે દેશમાં 50થી વધુ ઉંમરના લોકોને વેક્સિનનો ડોઝ આપી દેવાયો છે. તેમણે જણાવ્યું હતું કે બ્રિટન 17 માર્ચ પછી ઈન્ડોર અને આઉટડોર યાતા-યાત પણ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેઓ આની સાથે આંતરરાષ્ટ્રીય પ્રવાસને પણ મંજૂરી આપવાની તૈયારીઓ કરી રહ્યા છે.

    કોરોનાવાયરસ વિરુદ્ધ ઈઝરાયેલે પણ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દેશની 56 ટકા વસતિએ અત્યારે કોવિડની વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. ત્યાર પછી ઘરની બહાર પણ કોઈને માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવતી નથી. દેશની તમામ શાળાઓ અને કોલેજોને પણ 100% વિદ્યાર્થિઓની હાજરી સાથે ખોલી દેવામાં આવી છે. જોકે કોવિડ-19 મહામારીને પગલે કેટલાક સાવેચેતીભર્યા નિયમો હજુ પણ લાદવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ઈઝરાયેલનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં કેટલાક સ્થાનિકો માસ્કને કાઢતા નજરે પડ્યા હતા.

    ઈઝરાયેલે વેક્સિન પ્રાપ્ત કર્યાના 100 દિવસમાં 50 ટકા વસતિને વેક્સિનેશન સંપૂર્ણ આપી દેવાની યોજના બનાવી હતી. અત્યારે ઈઝરાયેલમાં 56 ટકા લોકોને બન્ને ડોઝ અને 81 ટકા લોકોને પ્રથમ ડોઝ લાગી ચૂક્યા છે. 16 વર્ષથી વધુ ઉંમર ધરાવતા પ્રત્યેક નાગરિકને વેક્સિનેશનમાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન 35 વર્ષીય એલી બ્લિચે જણાવ્યું હતું કે હું ઘણી ખુશ છું કે ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં માસ્ક વગર શ્વાસ લઈ શકું છું. તેણે પણ માસ્ક કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.


Download Our B K News Today App



Related News