શ્રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા : રાજપક્ષે માલદિવ નાસી જતા લોકો રોષે ભરાયા, હજારોની સંખ્યામાં દેખાવકારો સંસદ તરફ પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 12:01:34
  • Views : 254
  • Modified Date : 2022-07-13 12:01:34

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા : રાજપક્ષે માલદિવ નાસી જતા લોકો રોષે ભરાયા, હજારોની સંખ્યામાં દેખાવકારો સંસદ તરફ પહોંચ્યા

આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદિવ્સ ભાગી ગયા છે. આ સમાચાર સામે આવતા જ દેશના લોકો રોષે ભરાયા છે. રાજધાની કોલંબોમાં અત્યારે લોકો માર્ગ પર ઉતરી આવ્યા છે અને ભારે હોબાળો કરી રહ્યા છે. અત્યારે હજારો લોકો સંસદ ભવન તરફ અગ્રેસર થઈ ગયા છે. આની સાથે વડાપ્રધાન નિવાસસ્થાનને પણ લોકોએ ઘેરી લીધું છે.

અત્યારે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બીજી બાજુ સેનાએ પોતાના લોકો સામે કોઈ પગલાં ભરવાની વાત સામે આવતા તેમને પોતાના હથિયાર નીચે મૂકી દીધા છે. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13 જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી.

મંગળવારે પણ દેશ છોડવાના પ્રયત્નો કર્યા હતા
ગોટબાયા 8 જુલાઈ પછી કોલંબોમાં જોવા મળ્યા નહોતા. તેઓ મંગળવારે એટલે કે 12 જુલાઈએ નેવીના જહાજથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સીલ લગાડવા માટે VIP સુવિધા આપવાની ના પાડી દીધી હતી. રાજપક્ષે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન અંગે બીજી સાર્વજનિક સુવિધાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ અધિકારીઓ માન્યા નહીં.

સૌથી મોટો સવાલઃ ભાગ્યા અથવા ભગાડવામાં મદદ કરાઈ?
ગોટબાયા રાજપક્ષેએ રાજીનામું આપે એની પહેલાં દેશ છોડવાની સુવિધા મળે એની ખાતરી કરી હતી. ત્યાર પછી આ શરત પ્રમાણે વ્યવસ્થા થતાં તે દેશ છોડીને ભાગી ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં સવાલ એ ઊઠે છે કે રાજપક્ષે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા છે? રાજપક્ષેએ 12 જુલાઈના દિવસે પોતાના રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને વરિષ્ઠ અધિકારીઓને સોંપી દીધા હતા. આ લેટર 13 જુલાઈએ સંસદ સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનેને સોંપવામાં આવ્યો હતો.

રાજપક્ષેને અમેરિકાએ વિઝા ન આપ્યા
ગોટબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને અમેરિકા ભાગી જવા ઈચ્છતા હતા, પરંતુ અમેરિકાએ તેમને વિઝા આપ્યા નહોતા. રાજપક્ષે પાસે શ્રીલંકા અને અમેરિકાની નાગરિકતા હતી, પરંતુ 2019માં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં તેમણે અમેરિકાની નાગરિકતા છોડી દીધી હતી.

વાસ્તવમાં શ્રીલંકાના સંવિધાન પ્રમાણે સિંગલ સિટિઝનશિપનો નિયમ છે, જેથી રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે માત્ર શ્રીલંકાના નાગરિક હોવું જરૂરી હતું.

રાષ્ટ્રપતિનો ભાઈ પણ દેશ છોડીને ભાગી જવા માગતો હતો

દેશમાં લોકો અનાજ માટે વલખાં મારી રહ્યા છે ત્યારે બેસિલે અમેરિકા જવા માટે 113 મિલિયન શ્રીલંકન રૂપિયામાં બિઝનેસ ક્લાસની ચાર ટિકિટ બુક કરાવી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ બંકર મળી આવ્યું
10
જુલાઈના દિવસે એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ટેલિજન્સ રૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવીને આ ગુપ્તચર માર્ગની મદદથી ભાગી ગયા હતા. આ બંકર રાષ્ટ્રપતિ ભવનના પહેલા માળે બનાવવામાં આવ્યું હતું. બંકરમાંથી બહાર નીકળતાં પહેલાં અહીં લાકડાની અલમારી ફિટ કરવામાં આવી છે. તેની રચના એવી છે કે તેને એકસાથે જાણવી કોઈપણ માટે મુશ્કેલ છે.

શ્રીલંકાના રાજકારણ સાથે જોડાયેલાં અપડેટ્સ...

કેન્દ્રીય બેન્કના ગવર્નર નંદલાલ વીરસિંઘેએ ચેતવણી આપી છે કે દેશમાં રાજકીય સ્થિરતા ન આવી તો IMF તરફથી બેલઆઉટ પેકેજ મળવામાં મુશ્કેલી આવી શકે છે.

શ્રીલંકામાં સર્વદળીય સરકાર બન્યા પછી વિક્રમસિંઘે સરકારના મંત્રી પણ રાજીનામું આપશે.

રાષ્ટ્રપતિ ગોટબાયા રાજીનામું ન આપે ત્યાં સુધી દેખાવકારો રાષ્ટ્રપતિભવનને ખાલી કરશે નહિ.

શ્રીલંકાની કેન્દ્રીય બેન્કના ગવર્નર પદ છોડવાની અટકળોને ફગાવી દીધી છે.

એમ્બ્યુલન્સ ચલાવવા માટે પણ ડીઝલ-પેટ્રોલ નથી
શ્રીલંકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એમ્બ્યુલન્સ ચલાવવા માટે ડીઝલ-પેટ્રોલ બચ્યું નથી. એમ્બ્યુલન્સ સર્વિસે લોકોને કોલ ન કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે સેવા આપવામાં અસમર્થ છે. લોકોને એક ટાઈમનું જમવાનું પણ સારી રીતે મળતું નથી. ખાવા-પીવાની પ્રોડક્ટના ભાવ ઘણા વધી ગયા છે. દાળની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. જોકે અહીં સ્થિતિ એટલી નાજુક છે કે ભૂખમરો અને કુપોષણ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

 

Download Our B K News Today App



Related News