અમેરિકામાં કિડનેપ થયેલા 4 ભારતીયના મૃતદેહ મળ્યા:કેલિફોર્નિયામાં પંજાબી પરિવારનું અપહરણ કરાયું હતું, 8 મહિનાની બાળકી સહિત ચારેયના હાથ બાંધી ગોળી મારી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 14:40:27
  • Views : 199
  • Modified Date : 2022-10-06 14:40:27

    અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ દિવસ પહેલાં અપહરણ કરાયેલા પંજાબી પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળ્યા છે. તેમાં એક 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સમગ્ર ઘટનાને ભયાનક ગણાવી હતી. ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચાર લોકોનું 3 ઓક્ટોબરે સાઉથ હાઈવે 59ના 800 બ્લોક પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ પરિવારનો અમેરિકામાં પોતાનો ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ છે.આ પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી હતો. મર્સિડ કાઉન્ટીમાંથી સોમવારે 36 વર્ષના જસદીપ સિંહ, તેની પત્ની જસલીન કૌર (27 વર્ષ) અને પુત્રી આરોહી (8 વર્ષ) અને ભાઈ અમનદીપ સિંહ (39 વર્ષ)નું અપહરણ કરવામાં આવ્યું હતું.કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું જાણવા મળે છે કે આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેની હાલત પણ નાજુક છે. આ જઘન્ય હત્યાકાંડના કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે અને ભારતીય મૂળના લોકોમાં ભયનો માહોલ છે.અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરવામાં આવેલા ભારતીય મૂળના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 8 માસની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે. આ લોકોનું મર્સિડ કાઉન્ટીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની શોધખોળ ચાલી રહી હતી. કેલિફોર્નિયા વહીવટીતંત્રએ ભારતીય મૂળના પરિવારના સભ્યોના મૃત્યુની પુષ્ટિ કરી છે. પરિવાર સોમવારે ગુમ થયો હતો અને ત્યારથી તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.જસદીપના એટીએમના ઉપયોગ કરવા પરથી પોલીસને આ કેસમાં કડી મળી હતી. અગાઉ સોમવારે, કેલિફોર્નિયાના ફાયર અધિકારીઓએ મર્સિડની બહારના ગ્રામીણ વિસ્તારમાં અમનદીપ સિંહની સળગાવેલી ટ્રક જપ્ત કરી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે અપહરણકારોએ આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે જણાવ્યું હતું કે ચારેયના મૃતદેહ બુધવારે સાંજે ઇન્ડિયાના રોડ અને હચિન્સન રોડ નજીકના પાર્કમાંથી મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બગીચામાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. તેમણે પહેલા પોલીસને જાણ કરી. ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નકે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત જઘન્ય અને ભયાનક હતી. અહેવાલો અનુસાર, પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે સર્વેલન્સ વીડિયોમાં જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી વ્યક્તિએ પરિવારને બળજબરીથી ટ્રકમાં બેસાડી દીધો હતો. 8 મહિનાનું બાળક અને તેની માતા જસલીન કૌર, પિતા જસદીપ સિંહ અને કાકા અમનદીપ સિંહ સોમવારથી ગુમ થયાં હતાં. આ પછી તેના પરિવારજનોએ વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી હતી અને પોલીસ તેમને શોધી રહી હતી, પણ પરિવારના તમામ લોકોના મૃતદેહ મળ્યા છે.

    ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ પર 2005માં અન્ય લોકોને બંદૂકની અણી પર લૂંટવાનો અને અન્યને ફસાવવાના આરોપોનો કેસ પણ નોંધાયેલો છે. આ બાબતે પોલીસનું માનવું છે કે તે એકલો નહોતો, તેની સાથે અન્ય લોકો પણ હતા. પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જસદીપ અને અમનદીપ સિંહના હાથ બંધાયેલા જોવા મળે છે. તેમને હથિયારોનો ડર બતાવીને ટ્રકમાં બેસાડવામાં આવી રહ્યા છે. બાદમાં બદમાશો ટ્રક લઈને ચાલ્યા જાય છે.હોશિયારપુરના ટાંડાના ગામ હરસી પહોંચ્યા બાદ શોકનો માહોલ છે. માતા કૃપાલ કૌર અને અમનદીપ સિંહની હાલત ખરાબ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ બંને અમેરિકા જવા રવાના થઈ ગયા છે. કૃપાલ કૌરના જણાવ્યા અનુસાર, તેમને બે પુત્રો, અમનદીપ સિંહ અને જસદીપ સિંહ હતા, પરંતુ હવે બંનેની હત્યા કરવામાં આવી છે. તેમના પરિવારનો આધાર છીનવાઈ ગયો છે.






Download Our B K News Today App



Related News