બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-11 15:22:00
  • Views : 401
  • Modified Date : 2024-04-11 15:22:00

કોરોના મહામારીમાંથી વિશ્વ હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી. ત્યાં વૈજ્ઞાનિકોએ વધુ એક મહામારીની ચેતવણી આપી છે. બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મહામારી કોવિડ-19 મહામારી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે. બર્ડ ફ્લૂનો H5N1 વાયરસ સૌથી ગંભીર ખતરો બની શકે છે. ત્યારે જાણી લઈએ કે H5N1 વાયરસ કેટલો ખતરનાક છે અને ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો. ગુજરાતમાં બર્ડ ફ્લૂની વાત કરીએ તો, ફેબ્રુઆરી 2006માં તાપી જિલ્લાના ઉચ્છલમાં H5N1 વાયરસે સૌપ્રથમ દેખા દીધી હતી. જે બાદ સરકાર સફાળી જાગી હતી અને ઉચ્છલ તાલુકામાં સંક્રમણ ન ફેલાય તે માટે આશરે 70 હજારથી વધુ મરઘાંને મારી નાંખવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઈંડાં નષ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ H5N1 વાઇરસ ફેલાવા લાગતાં ગુજરાતમાં મરઘાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2021માં પણ આ વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. એ વખતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હતા અને મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા હતા. એ વખતે પણ સરકારે આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને મોટી સંખ્યામાં મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના ઈંડાં-મરઘાંના ખાદ્યપદાર્થનો પણ નાશ કરાયો હતો. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા હતા. જેના કારણે મરઘીઓમાં સંક્રમણ ફેલાયા બાદ મોત થયા હતા. ત્યાર બાદ મરઘીઓના મોત વિશે જાણવા નમૂનાઓ પરીક્ષણ માટે ભોપાલની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ પછીના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તમામ મૃત મરઘીઓ બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી સંક્રમિત હતી.

ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચાર પ્રકારના હોય છે. ઈન્ફલ્યુએન્ઝા A,B,C અને D હોય છે. જેમાંથી એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મનુષ્ય સંક્રમિત થવાની સંભાવાના ઓછી છે. પરંતુ, A (H5N1) અને A (H7N9) વાયરસ લોકોને સંક્રમિત કરી શકે છે. H5N1 વાયરસને બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસને કારણે થાય છે. સામાન્ય રીતે આ વાયરસ મરઘાં, કબૂતર, બતક અને તેતર જેવા પક્ષીઓને સંક્રમિત કરે છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીના મળમાં તેમજ તેની આંખ, નાક અથવા મોંમાંથી આવતા પ્રવાહીમાં જોવા મળે છે. આ વાયરસે ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં લાખો પક્ષીઓનો ભોગ લીધો છે.H5N1 વાયરસ પ્રથમ વખત ચીનમાં 1996માં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી 1997માં હોંગકોંગમાં એક રોગચાળો ફાટી નીકળ્યો, જેના પરિણામે આ વાયરસ પક્ષીઓથી મનુષ્યોમાં પ્રવેશ્યો અને મનુષ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. જેનાથી 18 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા હતા.

 અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ બર્ડ ફ્લૂ અંગે ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ પણ સંકેત આપ્યો છે કે, બર્ડ ફ્લૂ રોગચાળો કોવિડ કરતા 100 ગણો વધુ ખતરનાક હોઈ શકે છે. જે વૈશ્વિક મહામારી પણ બની શકે છે. H5N1 એવિયન ફ્લૂનો કેસ સામે આવતાં લોકોમાં ચિંતા વધી ગઈ છે. આ વાયરસ માત્ર પક્ષીઓમાં જોવા મળતો હતો, પરંતુ તાજેતરમાં અમેરિકામાં પ્રાણીઓમાં પણ H5N1 બર્ડ ફ્લૂના કિસ્સા નોંધાયા છે. ગાય, બકરી અને ઘેટાં જેવા સસ્તન પ્રાણીઓમાં H5N1 જોવા મળે તેવી આ પ્રથમ ઘટના છે. ગાયમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 25 માર્ચ 2024ના રોજ નોંધાયો હતો. ત્યાર બાદ 1 એપ્રિલ 2024ના રોજ ચેપગ્રસ્ત ગાયોની સંભાળ રાખતા માણસને પણ બર્ડ ફ્લૂ થયો. ત્યારે CDC H5N1 વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. H5N1 બર્ડ ફ્લૂના લક્ષણો: મનુષ્યમાં H5N1 એવિયન ફ્લૂનો કેસ મળ્યા બાદ ચિંતા વધી ગઈ છે. બર્ડ ફ્લૂના લક્ષણો અન્ય ફ્લૂ જેવા જ છે, જેમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો અને તાવ આવે છે. જેના કારણે લોકોને ન્યુમોનિયાની અસર થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના અહેવાલ અનુસાર ટેક્સાસમાં ચેપગ્રસ્ત ડેરી વર્કરે તેના એકમાત્ર લક્ષણ તરીકે આંખોમાં સોજો હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News