અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, સૌરાષ્ટ્ર પંથક અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:19:02
  • Views : 431
  • Modified Date : 2019-11-02 13:19:02

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દીવમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો બીજી તરફ ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. કડીયાળી ગામમાં નવરંગના માંડવા વખતે ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી.દરિયો તોફાની બન્યો. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. ગીર સોમનાથનાં ઉના અને કોડીનારમાં ભારે વરસાદ પડ્યો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું. મહા' વાવાઝોડાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર, તલાટી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર એલર્ટ કરવામાં આવ્યા છે. અને 10 તારીખ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવને ધ્યાનમાં રાખી લોકોને અને અધિકારીઓએ એલર્ટ કરાયા છે.માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઇ કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઇ છે. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી, તે ભારે વરસાદનાં કારણે પલળી જતા ખેડૂતોને ફટકો પડ્યો છે. સુત્રાપાડામાં પણ ખેડૂતોને ખેતીપાકોમાં ભારે નુકસાન થયું છે. બીજી બાજુ કપાસ, જુવાર અને સોયાબીન પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યો છે.ગડુ અને અસપાસના વિસ્તારમાં રાત્રે 1 ઇંચ વરસાદ શુક્રવારે બપોર પછી ગડુ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણે પલટો માર્યો હતો અને પછી આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એકાએક પવન સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ વરસાદી માહોલ જોવા મળતા 'મહા' વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે, ત્યારે ખેડૂતોએ ખેતરમાં પડેલી મગફળીના પાથરાને સાચવવા માટે અથાગ મહેનત કરી હતી.સૈયદ રાજપરા ગામ પાસે દરિયા કિનારે બોટે જળસમાધિ લીધી ઉનાના સૈયદ રાજપરા ગામના દરિયા કિનારે પરત ફરી રહેલી બોટે જળસમાધી લીધી છે. બોટમાં સવાર 8 ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News