370ની કલમ રદ, કાશ્મીરના રાજા હરિસિંહ ગુજરાતના ધરમપુરના જમાઈ હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 16:57:21
  • Views : 770
  • Modified Date : 2019-08-07 16:57:21

જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 હટાવવાના સરકારના ઐતિહાસિક નિર્ણયને લઇને એક તરફ દેશભરમાં જશ્નનો માહોલ જામ્યો છે. જો કે, આમલોકોની આ લાગણીને સ્પર્ષતો એક અનોખો ઇતિહાસ પણ છે. આજથી 96 વર્ષે પૂર્વે તત્કાલિન ધરમપુર રાજ્યના રાજ કુંવરીના લગ્ન સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરના રાજ કુંવર સાથે થયા હતા. આ મુદ્દો આમ તો મીડિયામાં કે ચર્ચામાં ઘણો ઓછો આવ્યો છે છતાં હાલના સંજોગોમાં પ્રાસંગિક બન્યો છે. ધરમપુર નગરના વડીલ ગજેન્દ્રસિંહ રાવરાણાએ પોતાની પાસે ઉપલબ્ધ રાજા સમયના સંસ્થાન ધરમપુર ગેઝેટના હવાલાથી સ્મૃતિ વાગોળી દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સવંત 1979ના વૈશાખ સુદ 15ને સોમવારે 30 એપ્રિલ 1923ના રોજ નામદાર શ્રીમંત મહારાણા શ્રી વિજયદેવજીના મોટા કુંવરી શ્રી દીર્ઘાયુષી ધનવંતકુંવર બાઈજીના શુભ લગ્ન જમ્મુ અને કાશ્મીરના પાટવી કુંવર શ્રી જનરલ રાજા સર હરિસીંહજી સાહેબ બહાદુર સાથે ધરમપુર મુકામે કરવાનું ઠેરવવામાં આવ્યું હતું. શુક્રવાર 10 ઓગસ્ટ 1923ના ગેઝેટમાં સમગ્ર લગ્નની વિસ્તૃત માહિતી પણ આલેખવામાં આવી છે.

રોયલ લગ્નના આલ્બમમાં છે રાજવી પરિવારની દુર્લભ તસવીરો ‘ખજાનો’
લગ્ન પ્રસંગે જમ્મુ-કાશ્મીરથી વલસાડ રેલવે સ્ટેશને આગમન, વરઘોડો સહિતની આ રાજવી લગ્નની દુર્લભ તસવીરોનું આલ્બમ આજ સુધી અકબંધ રીતે સચવાયું છે. સને 1970થી ધરમપુરમાં સ્થાયી થયેલા એમ.પી, નાગોદ સ્ટેટના કુંવર ધર્મેન્દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા )ની માતા જશવંત કુંવરબાઈજી રાજા હરિસીંહજીની પત્ની ધનવંત કુંવરબાઈજીના સગા નાના બહેન થાય છે. આમ રાજા હરિસીંહજી ધર્મુદાદાના માસા થાય છે. ધર્મુદાદાની મુલાકાતમાં તેમણે આ રસપ્રદ માહિતી આપી સંસ્મરણો વાગોળ્યા હતા.

તે સમયે જનરેટર ભેટ આપ્યું હતું
ધરમપુરનાં ધર્મેન્દ્રસિંહ પરિહાર, (ધર્મુદાદા)એ જણાવ્યું હતું કે, મારી માસી શ્રીધનવંત કુંવર બાઈજીએ તે સમયે પેલેસોમાં વીજળી માટે જનરેટર ભેટ આપ્યું હતું. જે હાલની વીજ કચેરી પાસે અગાઉ જોવા મળતું હતું. સાથે ધરમપુરના પૌરાણિક રાધા-કૃષ્ણ મંદિર જેવું એક મંદિર કાશ્મીરમાં બનાવ્યું હોવાનું યાદ છે. કાશ્મીરના ડો.કરણસિંહજી મારા માસીયાય ભાઈ થાય છે.

Download Our B K News Today App



Related News