રૂપાણીએ કહ્યું એ વડીલે આપેલી સલાહ પાળવાનો પ્રયત્ન કરું છું, ‘ખુરશી પર બેસજે પણ ખુરશીને તારા પર બેસવા દેતો નહીં’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 12:45:17
  • Views : 475
  • Modified Date : 2019-08-07 12:45:17

 2016ની 7 ઓગસ્ટે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આરૂઢ થયા હતા. બે ટર્મમાં વહેંચાયેલા તેમના કાર્યકાળને આજે ત્રણ વર્ષ પૂરા થયા. દિવ્ય ભાસ્કરના પ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથેની મુલાકાતમાં રૂપાણીએ ભાજપના કાર્યકરથી લઈને મુખ્યમંત્રી તરીકેની પોતાની સફર તથા અંગત જીવન વિશે મોકળા મને વાતો કરી હતી.હું એમણે સોંપેલી જવાબદારીને નિભાવી શકું તો ય બસ ‘મને એક વડીલે સલાહ આપેલી, તું ખુરશી પર જ બેસજે. ખુરશીને તારા પર નહીં બેસવા દેતો.’ નિખાલસ ચહેરે એ કહે છે, ‘મેં આજ સુધી એ વાતને પાળવાનો પ્રયત્ન કર્યો છે. સૂરજની સામે મીણબત્તી થઈને ઊભો રહ્યો છું. નરેન્દ્રભાઈએ ગુજરાતને જ્યાં પહોંચાડ્યું છે એ સ્થાને હું એમણે સોંપેલી જવાબદારીને નિભાવી શકું તો ય બસ !’ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ઘણા લોકોને ઘણું કહેવાનું છે. કોઈ કહે છે, કે એ રિમોટ કન્ટ્રોલ મુખ્યમંત્રી છે. તો કોઈ કહે છે, એ અતડા છે, ઓછું બોલે છે. પોતાની પબ્લિસીટી નથી કરતા, લો પ્રોફાઈલ રહે છે... તો વળી વિરોધીઓ કહે છે, એમની પાસે કહેવા જેવું કંઈ છે જ નહીં ! મજાની વાત એ છે કે એમને આનાથી કાંઈ ફેર પડતો નથી. એમની સરકાર અડીખમ ઊભી છે, આ બધા મિશ્ર પ્રતિઘાતોની વચ્ચે વિજયભાઈ એકદમ સહજ અને સરળ છે. એમના સુધી પહોંચવું જરાય અઘરું નથી. નાનકડી સમસ્યામાં પણ નિર્ણય લઈને એનું સમાધાન શોધવું એ વિજયભાઈની આગવી આવડત છે. સુરતની આગ હોય કે સૌરાષ્ટ્રનું વાવાઝોડું, એ પ્રજાની પડખે ઊભા રહ્યા છે. વિરોધીઓની વાતને પણ ધ્યાનથી સાંભળે છે. સમર્થકોને વધુ મહત્વ આપવાને બદલે એમણે સરકારની છબી અને છાયાને વધુ ઉજ્જવળ બનાવવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો છે.હું અને અંજુ વિદ્યાર્થી સંઘમાં સાથે કામ કરતા‘એ જ વડીલે મને બીજી એક વાત કહેલી, જાહેરજીવનમાં જેમ વધુ દાખલ થતા જઈએ એમ બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે રાખવું. મારો અનુભવ છે કે અકળાયેલા, ગુસ્સે થયેલા માણસને પણ દસ મિનિટ શાંતિથી સાંભળી લો તો એની સમસ્યાનું સમાધાન એ પોતે જ આપણને શોધી આપે !’ વિજયભાઈ કહે છે. એમની સરકારને ત્રણ વર્ષ પૂરા થયા એ નિમિત્તે દિવ્ય ભાસ્કર માટે એમણે આપેલા એક્સક્લૂઝીવ ઈન્ટરવ્યૂમાં વિજયભાઈની અંગત અને સંવેદનાસભર બાજુ ઉઘડી, ‘હું અને અંજુ (અંજલીબહેન) વિદ્યાર્થી સંઘમાં સાથે કામ કરતા. અમારા વિચારો એક અને કાર્યક્ષેત્ર પણ એક. સમય સાથે અમને લાગ્યું કે અમે એકબીજાની સાથે જીવવા માટે જ બન્યા છીએ.’ કહેતાં કહેતાં એમના ચહેરા પર કોલેજના છોકરા જેવું શરમાળ સ્મિત આવી જાય છે !‘પ્રપોઝ કોણે કરેલું ?’ મેં પૂછ્યું.‘મેં જ વળી !’ વિજયભાઈએ કહ્યું.‘ઘરમાં કોનું ચાલે ?’ મેં આગળ પૂછ્યું.‘આ પૂછવાનો સવાલ છે ?’ એમણે મજાક કરી, ‘એનું જ ચાલે ને !’ પછી ઉમેર્યું, ‘પણ અંજુ બહુ સમજદાર છે. મને ભાગ્યે જ કોઈ દિવસ એને લીધે અચડણ ઊભી થઈ છે. સુરતમાં આગ લાગી એ દિવસે મારા ઘરમાં ફેમિલી ફંક્શન હતું. મેં ફોન કરીને કહ્યું કે, મારે જવું પડશે. અંજુએ તરત જ કહ્યું, હા, હા તમારે જવું જ જોઈએ. અહીં તો હું સંભાળી લઈશ. આવું તો એણે ઘણીવાર સંભાળી લીધું છે. હું તો બહાર જ હોઉ, ઘરની જવાબદારી અને નિર્ણયો બંને અંજુ ઉપર જ હોય.’ ગુજરાતના મુખ્યમંત્રીએ પહેલીવાર પોતાની પત્ની વિશે આટલી ખુલીને વાત કરી હશે. એમના સંતાનો વિશે વાત કરતી વખતે એમના ચહેરા પર ગૌરવ દેખાય છે, ‘બેમાંથી કોઈ પણ રાજકારણમાં નહીં આવે તો મને વાંધો નથી. મારી દીકરી સી.એ. છે. મારા જમાઈ પણ સી.એ. છે. મારો દીકરો એન્જિનિયર છે. મેં એમને હંમેશા કહેલું, સૌથી પહેલાં કારકિર્દી પછી બીજું બધું. હું તો મારા કાર્યકર્તાઓને પણ એ જ કહું છું. તમારે રાજકારણમાં આવવું હોય તો પહેલાં તમારી આગવી કારકિર્દી બનાવો.’‘તમે ચીફ મિનિસ્ટર ન હોત તો શું હોત ?’ મેં પૂછ્યું.‘મુખ્યમંત્રી બનવું એ મારું સપનું હતું જ નહીં. મને તો પક્ષનું કામ કરવામાં રસ હતો. મુખ્યમંત્રી ન હોત તો એક નિષ્ઠાપૂર્ણ કાર્યકર હોત એટલું નક્કી.’ વિજયભાઈએ કહ્યું, ‘મને જ્યારે આ જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો એ પહેલાં મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું એક દિવસ આ રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. સત્તા મારો શોખ નથી.’‘તો શેનો શોખ છે, તમને ?’ આટલું પૂછતાં જ એમના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું.‘અઢાર વર્ષનો હતો ત્યારે કટોકટીના સમયમાં ઈન્દિરાબહેને બધાને જેલમાં નાખેલા. એ વખતે મતાધિકાર 21 વર્ષે હતો. મત આપવાનો અધિકાર નહોતો, પણ જેલમાં ગયેલો.’ એ હસી પડ્યા, ‘એ વખતે ખૂબ વાંચતો. ગુજરાતી ભાષાના ઘણા પુસ્તકો એ વખતે વાંચ્યા. જેલમાં રશિયન શીખેલો.’ એમણે કહ્યું, ‘હવે મારો બધો જ સમય પ્રજાના કામોમાં જાય છે, પણ સાયગલ, પંકજ મલિક, તલત મહેમૂદના ગીતો લાંબો પ્રવાસ હોય ત્યારે ગાડીમાં સાંભળું.’સાથે ગાવ ખરા ?’ મેં પૂછ્યું.‘હા, હા બિલકુલ.’ એમણે કહ્યું, ‘આજે પણ મારા સ્કૂલના, બાળપણના મિત્રો છે. જેમની સાથે મકરસંક્રાંતનો અડધો દિવસ વિતાવવાનો નિયમ મેં તોડ્યો નથી. ત્રીજી પેઢી આવી ગઈ, પણ અમે બધા મિત્રો 14મી જાન્યુઆરીનો અડધો દિવસ સાથે પતંગ ચગાવીએ, ગીતો ગાઈએ, જમીને છૂટા પડીએ. હું કોઈ પણ કામ છોડીને અડધો દિવસ રાજકોટ જાઉં એ વાતની મારા સ્ટાફને અને મારા બધા જ સહકાર્યકરોને ખબર છે.’ એમણે ઉમેર્યું, ‘આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ, કોઈ પણ પદ પર બેસીએ, પરંતુ આપણને ‘તું’ કહી શકે એવા મિત્રોને ક્યારેય નહીં ભૂલવાના. મને લાગે છે કે આવા લોકો જ આપણને સહજ અને નોર્મલ રહેવામાં મદદ કરે છે.’ એમણે સાથે જ કહ્યું, ‘હું તો મારા વિરોધીઓનો પણ એક રીતે આભાર માનું, એ આપણને ઈન્ટ્રોસ્પેક્શન કરવામાં-જાત તપાસ કરવામાં અને ભૂલો સુધારવામાં મદદ કરે.’ કહીને એમણે પૂછ્યું, ‘ખરું કે નહીં ?’

આ સાંભળીને મારાથી પૂછ્યા વગર ન રહેવાયું, ‘કોઈ રીમોટ કન્ટ્રોલ ગવર્મેન્ટનું મહેણું મારે તો ગુસ્સે આવે છે ખરો ?’ મને હતું કે એમનો ચહેરો બદલાઈ જશે, પણ એમના ચહેરા પર સ્મિત એવું જ રહ્યું. ‘ના રે ! મને તો બહુ જ ઓછો ગુસ્સો આવે છે. હું નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યો છું. વિરોધીઓને પણ પોતાની વાત કહેવા દેવી. સમર્થકોને પોતાની રીતે આપણો બચાવ કરવા દેવો. બંનેને પોતપોતાના અભિપ્રાય છે, પણ આપણો અભિપ્રાય બેમાંથી એકની પણ અસરમાં ન આવવો જોઈએ. હું ક્યારેય મારા વિશે શું બોલાય છે એની ચિંતા કરતો જ નથી. મારું કામ કરું છું. ગુજરાતની જનતાએ મને સોંપેલી જવાબદારી નિભાવું છું, બસ.’‘આ ત્રણ વર્ષમાં એવું શું છે જે નથી થઈ શક્યું ? ‘મેં પૂછ્યું.’‘એવું કહેવા કરતા મારે એમ કહેવું જોઈએ કે હજી ઘણું કરવાનું બાકી છે.’ એમણે કહ્યું, ‘અમારે છેક છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવું છે. પ્રજા ભ્રષ્ટાચાર નાબૂદી ઝંખે છે. અમારો પ્રયાસ એ જ છે. બાબુશાહીમાંથી બહાર નીકળીને ધક્કા ખાધા વગર કામ થઈ શકે એવું શાસન મારું આગવું સ્વપ્ન છે.’ કહીને એ હસ્યા, ‘તમને કોણ નથી ઓળખતું, તો પણ મેં આજે અગાઉથી પ્રશ્નો માગ્યા?’એમની વાત સાચી છે. મુખ્યમંત્રીના પ્રોટોકોલમાં આગળથી સવાલો આપવા પડે, પરંતુ એવો કોઈ આગ્રહ રાખ્યા વગર એમણે દિવ્ય ભાસ્કરના વાચકો માટે આ ઈન્ટરવ્યૂ ખુલ્લા દિલે અને પૂરી નિખાલસતાથી આપ્યો. વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે કેટલા સફળ કે નિષ્ફળ છે એ તો કદાચ આવનારો સમય જ કહેશે, પરંતુ વ્યક્તિ તરીકે એમને મળવાની ચોક્કસ મજા આવે. એમની સહજતા, નિખાલસતા અને ભાર વગરનું વ્યક્તિત્વ ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓથી એમને થોડા જુદા પાડે છે અને સહેજ વધુ લોકપ્રિય બનાવે છે, એટલું તો આપણે સ્વીકારવું પડે.

Download Our B K News Today App



Related News