ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ, 2 ગાર્ડ સામે હત્યાનો ગુનો, 18 કલાક પછીયે પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-15 14:36:51
  • Views : 416
  • Modified Date : 2020-02-15 14:50:29

  • મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરના મૃત્યુના 18 કલાક બાદ પણ પરિવારે લાશ સ્વીકારવા ઇન્કાર કરી શુક્રવારે સવારથી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં કહ્યા મુજબ ફરિયાદ નોંધવા રીતસર જીદ કરી હતી અને મોડી સાંજે પોલીસે ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ, બે ગાર્ડ અને તપાસમાં નીકળે તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.બાળ ઓબ્ઝર્વેશન હોમમાં હત્યા અને ચોરીના બાળ આરોપીના મોતની ઘટનાએ તંત્રને દોડતું કરી મૂક્યુ છે. બીજીબાજુ અમદાવાદમાં 7 ફોરેન્સિક તબીબોની પેનલથી કિશોરની લાશનું 5 કલાક સુધી ચાલેલા પીએમ બાદ પરિવારે જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા જીદ સાથે લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. શુક્રવારે સવારે 9 વાગ્યાથી મહેસાણા બી ડિવિજન પોલીસ સ્ટેશન પહોંચેલા કિશોરના માતા, પિતા અને સગાસંબંધીઓએ ફરિયાદ લેવા જીદ કરી હતી અને કલાકોની રકઝક વચ્ચે મોડી રાત્રે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ વિષ્ણુભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ તેમજ ગાર્ડ અક્ષય પી. ચૌધરી અને કનુભાઇ એન. ચૌધરી તેમજ તપાસમાં બીજા નીકળે તેની સામે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાની ફરિયાદ નોંધાઇ હતી.
    કોણે માર્યો તે જાણતા નથી, અમને તો ન્યાય જોઇએ
    મારા પુત્રના પ્રાથમિક પીએમ રિપોર્ટમાં તેને માર મારવાના કારણે મૃત્યુ થયાનું અને મરી ના ગયો ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો હોવાનું આવ્યું છે. તેને કોણે માર્યો, ક્યાં માર્યો તે જાણતા નથી. પરંતુ પુત્રના હત્યારાઓ જાહેરમાં તેમનો ગુનો કબૂલે, તંત્ર તેમની સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરે તે પછી જ લાશ સ્વીકારીશું.> કાંતાબેન, કિશોરની માતા
    નરોડા પોલીસને આરોપી બનાવવા મુદ્દે બે જૂથ
    ઓબ્ઝર્વેશન હોમના ત્રણ કર્મચારી સામે હત્યાની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હતી, તે સમયે ફરિયાદી પક્ષે હાજર કેટલાક વ્યક્તિઓએ નરોડા પોલીસને આરોપીમાં લેવાનો મુદ્દો ઉઠાવતાં ચર્ચા જોર પકડી હતી અને એક સમયે બંને જૂથ શાબ્દીક રીતે સામ સામે આવી ગયા હતા. ફરિયાદી માત્ર ઓબ્ઝર્વેશન હોમના કર્મચારીઓને જ આરોપી તરીકે લેવાનું કહેતાં તેમના સગા વિફર્યા હતા અને આપેલી ફરિયાદ ફાડી, બીજી લેવાની ચર્ચા કરી હતી.
    PM રિપોર્ટ : મારના કારણે કિશોરનું મોત
    પ્રાથમિક પીએમ રિપોર્ટમાં મારના કારણે કિશોરનું મોત થયું હોવાનું આવ્યું છે અને વિસેરા પર રિપોર્ટ પેન્ડીંગ છે. હાલના તબક્કે જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. > બી.એમ. પટેલ, પીઆઇ મહેસાણા બી ડિવિજન
    ભાગ્યો ત્યારે ગાર્ડ,ગૃહપતિને માર્યા હતા
    કહેવાય છે કે,કિશોરો જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગ્યા ત્યારે મૃતક કિશોરે ગૃહપતિ ને ગાર્ડને માર્યા હતા અને જ્યારે તેને પકડીને પુન: ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો ત્યારે પોતે ખાધેલા મારનો બદલો લેવા તેમના પર હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

Download Our B K News Today App



Related News