અમદાવાદ જવા નીકળેલો પરિવાર રીક્ષામાં લેપટોપ અને મોબાઇલ ભૂલી ગયો, રીક્ષાચાલકે વડોદરા બસ ડેપોમાં જઇને બેગ પરત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 16:31:42
  • Views : 379
  • Modified Date : 2020-02-17 16:31:42

વડોદરા શહેરમાં રીક્ષાચાલકની ઇમાનદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા બસ ડેપો પહોંચેલો પરિવાર રીક્ષામાં જ પોતાની બેગ ભૂલી ગયો હતો. આ બેગમાં લેપટોપ અને મોબાઇલ મૂકેલા હતા. પરંતુ બહાર નીકળીને આગળ ગયા બાદ રીક્ષાચાલકે બેગ જોતા જ ફરીથી તે વડોદરા બસ ડેપો પહોંચી ગયો હતો અને બેગ પરત કરી હતી. જેથી પરિવારે રીક્ષાચાલકનો આભાર માન્યો હતો.વડોદરા શહેરના આર.વી.દેસાઇ રોડ ઉપર આવેલા સન કોમ્પલેક્ષમાં રહેતા દિનેશભાઇ શ્રીપાલભાઇ આઠલે(60) તેમના પત્ની અને સાળીની બે દીકરીઓ સાથે અમદાવાદ જવા નીકળ્યા હતા. તેઓ તેમના ઘરની બહારના રીક્ષા સ્ટેન્ડથી ઇકબાલ કુરેશીની રીક્ષામાં વડોદરા બસ ડેપો ઉપર પહોંચ્યા હતા, ત્યારે તેઓ દિનેશભાઇની તેમની સાળીની દીકરી જાન્વી ભાવે તેની બેગ રીક્ષામાં જ ભૂલી ગઇ હતી. ઇકબાલ કુરેશી વડોદરા બસ ડેપોમાંથી બહાર નીકળીને બીજા મુસાફરને બેસાડીને નીકળી ગયો હતો. થોડા આગળ ગયા પછી પાછળ બેઠેલા મુસાફરે પાછળના ભાગે પડેલી બેગ જોઇ હતી અને રીક્ષાચાલકને આપી હતી.  જેથી રીક્ષાચાલકે મુસાફરને જણાવ્યું હતું કે, તમે બીજી રીક્ષા પકડી લો, મારે બેગ પરત આપવા બસ ડેપો પર જવુ પડશે. તેઓએ રીક્ષાવાળીને તુરંત જ બસ ડેપો પર પહોંચ્યા, બીજી તરફ લેપટોપમાં મહત્વના ડોક્યુમેન્ટ અને ફાઇલ હોવાથી જાન્વી પોતાની બેગને લઇને ચિંતામાં હતી. અને અમદાવાદ જતી બસનો પણ સમય પણ થઇ ગયો હતો. આ સમયે રીક્ષાચાલક ઇકબાલ કુરેશી ત્યાં આવી ચડ્યા હતા અને જાન્વીને બેગ પરત કરી હતી. જેથી જાન્વીની ખુશીનો પાર રહ્યો નહોતો. દિનેશભાઇ અને જાન્વીએ રીક્ષાચાલક ઇકબાલ કુરેશીનો આભાર માન્યો હતો. અને ગુલાબનું ફૂલ આપીને તેમની કામગીરીને વધાવી હતી.રીક્ષાચાલક ઇકબાલ કુરેશીએ જણાવ્યું હતું કે, મારી રીક્ષામાં બેગ જોતા જ મને લાગ્યું કે, લેપટોપ અને મોબાઇલની તેઓને કંઇક જરૂર હશે. અને તેઓ નીકળી જશે તો મુશ્કેલીમાં મૂકાઇ જશે. જેથી એક પળનો પણ વિચાર કર્યાં વિના મુસાફરને નીચે ઉતારીને હું વડોદરા બસ ડેપો પર પહોંચી ગયો હતો અને બેગના માલિકને તેમની બેગ પરત કરી હતી સીએ ફર્મમાં નોકરી કરતી જાન્વી ભાવેએ જણાવ્યું હતું કે, મારા લેપટોપમાં મહત્વના ડોક્યુમેન્ટ અને ફાઇલ હતી. જેને કારણે હું ટેન્શનમાં આવી ગઇ હતી. પરંતુ રીક્ષાચાલકે મને મારી બેગ પરત કરતા મારી ચિંતા દૂર થઇ હતી. રીક્ષાચલકે સાબિત કરી બતાવ્યું છે કે, આજે પણ ઇમાનદારી જીવે છે.

.


Download Our B K News Today App



Related News