ગુજરાતમાં સૌથી ઉંચા રાવણનું પૂતળાદહન રાજકોટમાં નહીં થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 12:11:29
  • Views : 327
  • Modified Date : 2020-10-21 12:11:29

              રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે દશેરાના દિવસે કોઈ જગ્યાએ રાવણદહનના મોટા કાર્યક્રમોનું આયોજન નહીં થાય.દર વર્ષે ગુજરાતમાં સૌથી ઉંચા રાવણનું પુતળાદહન રાજકોટમાં થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે રાવણનું પુતળાદહન કાર્યક્રમ નહીં યોજાઈ. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ, ભાવનગર, જામનગર સહિતનાં શહેરોમાં રાવણનાં પૂતળાં તૈયાર કરવા UPથી કારીગરો આવે છે, પરંતુ આ વખતે કોરોનાને લીધે એકપણ ઓર્ડર ન હોવાથી તેઓ આવ્યા નથી. કોરોનારૂપી રાવણને મારવા અને સંક્રમણ અટકાવવા માટે રાવણદહનનો કાર્યક્રમન ન યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.ગુજરાતના સૌથી ઊંચા 55 ફૂટના રાવણના પૂતળાનું દહન રાજકોટમાં કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દશેરાએ રેસકોર્સના મેદાનમાં સાંજે 7 કલાકે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવે છે સાથે ભવ્ય આતશબાજી કાર્યક્રમ પણ યોજાઈ છે. દિવાળીએ ભારતની વિશ્વ કલ્યાણકારી સનાતન સંસ્કૃતિનો દીપ પ્રાગટ્ય તે પહેલા અસુરી શક્તિના નાશ માટે વિજયાદશમીના દિવસે રાવણ દહન તથા શસ્ત્રપૂજન કરી વિજયાદશમી ઉજવવામાં આવે છે. 55 ફૂટ ઉંચું રાવણનું પૂતળું અને મેઘનાથ તેમજ કુંભકર્ણના 30 ફૂટ ઊંચા પૂતળાં બનાવવામાં આવે છે. પણ આ વર્ષે એક પણ કાર્યક્રમ યોજાશે નહીં.વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી નીતેશભાઈ કથિરીયાએ જણાવ્યું હતું કે વર્ષ 1987થી રાજકોટમાં રાવણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 3 દાયકાથી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જેમાં લાખો લોકો સહભાગી થાય છે. આ કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી કરીને આસુરી શક્તિ સમા રાહવના પુતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં રાવણદહનનું સૌથી મોટું આયોજન રાજકોટમાં થાય છે. તમામ ભક્તોને અપીલ કરી હતી કે વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું અનેરૂ મહત્વ છે. જેથી દરેક ભક્તો ઘરે ઘરે શસ્ત્ર પૂજન કરે અને વિજયાદશમીના પર્વની ઉજવણી કરે.મહત્વનું છે કે રાવણ-કુંભકર્ણ-મેઘનાથના પુતળાઓનું દહન અને અવનવી આકાશી ફટાકડાની રંગોળી રચાય છે, ત્યારે બાળકો સહિતની જનમેદનીની ચીચયારીઓથી સમગ્ર ગ્રાઉન્ડ ગાજી ઉઠે છે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જ્યાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા બાળકો શસ્ત્ર પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવે છે. જેનો પણ દર વખતે બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે. પરંતુ આ વર્ષે કોરોના ગ્રહણના કારણે વિજયાદશમીના દિવસે એક પણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં..

Download Our B K News Today App



Related News