પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરે નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 12:11:26
  • Views : 545
  • Modified Date : 2019-09-21 12:11:26

ભારત-પાકિસ્તાન
આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા ટુરીઝમ
પોઇન્ટ તરીકે વિકસાવવા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામોનું નિરીક્ષણ કરવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરે સૂઇગામ તાલુકાના નડાબેટની મુલાકાત લઇ વિકાસકામોનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ ટુરીઝમના વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લઇ બી.એસ.એફ.ના જવાનોને મળ્યા હતાં. નડાબેટ ખાતે રૂ. ૭૫ કરોડનો સીમા દર્શન પ્રોજેક્ટ આકાર પામી રહ્યો છે. જેમાં બે જગ્યાએ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. જેમાંથી નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ટી જંકશન પાસે જુદા જુદા બે ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે નડાબેટ ટી જંકશન ખાતે ફેઝ-૧ માં મુખ્ય કમ્પોનન્ટમાં આગમન પ્લા ઝા અને ફુડ પ્લાવઝા, જાહેર પાર્કિગ, ઓડિટોરીયમ, સોવિનિયર દુકાન, જાહેર ટોયલેટ બ્લોક, આઉટડોર ડેવલપમેન્ટ, રિટેનિંગ વોલ અને સમગ્ર જમીનને સમતલ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જયારે ફેઝ-૨માં મુખ્ય કમ્પોનન્ટમાં એક્ઝિબિશન હોલ, બી.એસ.એફ. બેરેક્સ, અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, રિટ્રીટ સેરેમની, યુજી વોટર ટેન્ક, આઉટર ડેવલપમેન્ટ અને રિટેનિંગ વોલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૨૪ ડિસેમ્બર-૨૦૧૬ના રોજ ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટ ઝીરો પોઇન્ટ બોર્ડરને ટુરીઝમ તરીકે વિકસાવવા પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સીમા દર્શન એ એક અનોખો કાર્યક્રમ છે જેમાં સ્થાનિક રોજગારી, સ્થાનિક લોકોની માહિતી તથા ભારતીય સીમા સુરક્ષા દળ ધ્વારા ભારતમાંથી તથા દૂર દૂરના વિસ્તારમાંથી આવતા પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્યક્રમમાં બોર્ડરની મુલાકાત સાથે બી.એસ.એફ.દ્વારા કરવામાં આવતી રીટ્રીટ સેરમની જોવાનો અદ્દભૂત લ્હાવો મળે છે. 
આ પ્રસંગે ટુરીઝમ વિભાગના સેક્રેટરી મમતા વર્મા, ટુરીઝમના એમ.ડી. જેનુ દેવન, બી.એસ.એફ.ના ડીઆઇજી આર.એસ.રામ, કમાન્ડન્ડ બી.બી.ગોસાઇ, અગ્રણીઓ સર્વ ઉમેદદાન ગઢવી, કાનજીભાઇ રાજપૂત,  ગુમાનસિંહ ચૌહાણ, સૂઇગામ પ્રાંત અધિકારી આર.બી.અસારી, બી.એસ.એફ.ના ઓફિસર શ્રીજીથ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડયા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સીમા સુરક્ષા દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News