સૌથી વધુ હિંમતનગર વિધાનસભામાં ૧,૫૬૯ - સૌથી ઓછા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭ દિવ્યાંગ મતદારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:26:49
  • Views : 495
  • Modified Date : 2019-04-06 07:26:49

“ મારે ભલે આંખ નથી પણ દ્રષ્ટિ છે મતદાન કરવાની...” ભાસ્કર મહેતા... શૈક્ષણિક કારકિર્દી સાથે સંકળાયેલું  એક નખશીખ વ્યક્તિત્વ...તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટુ પણ નથી..પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે...લોકશાહીની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કામ છે મતદાનનું... આ મતદાન ન કરીએ તો શું થાય...? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતા તેઓ કહે છે કે...” હું માનુ છુ કે મતદાન તો કરવું જ જોઈએ.. આપણે આપણા અધિકાર-હકક  માટે સદાય તત્પર રહીએ છીએ પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છીએ..ચૂંટણી તંત્ર એ દિવ્યાંગ જનો સરળતાથી મતદાન કરી શકે તે માટે રેમ્પ, વ્હીલચેર,મતદાતા સહાયક તથા અન્ય વ્યવસ્થાઓ કરી છે તો મતદાન કરવું જ જોઈએ...  મારા મતે તો  દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવા ન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે...” એમ તેઓ ઉમેરે છે... શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહી જીવવાની કટિબધ્ધતા ધરાવતા આ  દિવ્યાંગજનો  ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી... લોકસભાની ચુંટણી ૨૩મી એપ્રિલે યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી  પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ  વહીવટી તંત્ર ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થાય તેની સાથે સાથે મહત્તમ મતદાન થાય તે માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે.

સાબરકાંઠા જિલ્લામાં કુલ ૫,૭૭૫  દિવ્યાંગ મતદારો છે. હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૧,૫૬૯ દિવ્યાંગ મતદારો છે.   ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭,  ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં ૧,૪૪૬ પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં ૧,૫૪૩,   દિવ્યાંગ મતદારો છે. આમ સૌથી વધુ  હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૧,૫૬૯ દિવ્યાંગ મતદારો છે. જ્યારે સૌથી ઓછા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૧,૨૧૭ દિવ્યાંગ મતદારો છે.   આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

હિંમતનગરમાં રહેતા ૨૧ વર્ષીય રાજ ત્રિવેદી જન્મથીજ બોલવા-સાંભળવાની તકલીફ ધરાવે છે,  પરંતુ સાંકેતિક ભાષામાં સમજાવે છે કે, “ મેં ગત ચૂંટણીમાં પણ મતદાન કર્યુ હતું... આ વખતે પણ મતદાન કરવાનો જ છુ... અમારા જેવા યુવાનો જ જો મતદાન કરવામાં આળસ રાખે તે સારી વાત નથી સૌએ મતદાન તો કરવું જ જોઈએ...” એમ તેઓ ઉમેરે છે...

સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૭૭૪ મતદારો, ૩૪૮ મૂક બધિર, સંપૂર્ણ હલનચલન ન કરી શકે તેવા ૨,૮૯૬ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૧,૭૫૭ મતદારો છે. 

સાબરકાંઠા જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે  દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. કહે છે કે..“ આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે રેમ્પ અથવા તો વ્હીલચેરની વ્યવસ્થા કરાનાર છે. સાબરકાંઠા  જિલ્લામાં અંદાજે  ૩૨૬ વ્હીલચેરની વ્યવસ્થા તથા ૧૦૧ સહાયકો ઉપલબ્ધ કરાશે...” તેમ તેમણે ઉમેર્યુ હતું. 

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર કહે છે કે, “ જિલ્લામાં હિંમતનગરના બહેરા- મુંગા વિદ્યાલય, ઈડરના સંસ્કાર વિદ્યાલય, ખેડબ્રહ્માના કે.ટી.હાઈસ્કૂલ તથા પ્રાંતિજના મહિયલ પ્રાથમિક શાળા કેન્દ્રો સંપૂર્ણ પણે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરાશે. તેની પાછળ આ કર્મચારીઓને પ્રેરણા આપવાનો તથા તેમનો જુસ્સો વધારવાનો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યુ હતું.

હિંમતનગરના  મહેશ બારોટ કહે છે કે...” હું  વ્હીલચેરમાં ફરુ છું... પણ હું હિંમત નથી હાર્યો.. શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી. સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે.. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે..પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા.. એ બહુ દૂઃખદ છે...મારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે...”એમ તેઓ ઉમેરે છે.    

સલામ છે આ દિવ્યાંગ મતદારોના જોશ અને જુસ્સાને.


Download Our B K News Today App



Related News