તિલકવાડાના વઘેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 13:23:16
  • Views : 81
  • Modified Date : 2023-12-25 13:23:16

તિલકવાડા તાલુકાના વઘેલી ગામે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રાનો રથ વઘેલી ગામે આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારત નિર્માણના સંકલ્પ અંગે તમામે સામુહિક શપથ લીધા હતા.આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યુ હતું કે, સરકારની 17 જેટલી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારી છેવાડાના વિસ્તારના લોકોના સુખાકારીમાં વધારો કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ આવવા સૌ નાગરિકોને હાકલ કરી હતી. સરકારની યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ યાત્રા હવે અંતિમ તબક્કાના પડાવમાં પહોંચી છે અને લોકોને માહિતી જગૃતિ સંદેશ અને વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 થી શાસન સાંભળ્યું છે ત્યારથી દેશના સૌ નાગરિકોને યોજના થકી છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો આ યાત્રાના માધ્યમથી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે.વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું કે, ગામડામાં રહેતા લોકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી સંપન્ન થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે પોતાની આવક બમણી કરી શકે અને સમાજનું ઉત્થાન થાય તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, મફત અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવીને ગરીબોને ભોજનની ગેરંટી આપી છે. કિસાન સન્માન નિધિ, બાલસખા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, નેનો ટેક્નોલોજી દ્વારા યુરિયાનો છંટકાવ તેમાં ડ્રોનનો ઉપયોગ કરીને બહેનોને ખાસ તાલીમ આપી યોજના અમલમાં મુકી છે. નલ સે જલ યોજના, વનધન યોજના થકી દેશનો વિકાસ કરી શકાય તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીનની સરકાર છે ત્યારે આપણે પણ સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગામલોકોને આપી લાભ લેવા તેમને પ્રેરિત કરી આંગળી ચિધ્યાંનું પૂણ્ય કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ,અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશના નાગરિક તરીકેની ભૂમિકા ભજવી દેશને દુનિયાની મહાસત્તાના બનાવવા અપીલ કરી હતી.વઘેલી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ધરતી કરે પુકાર અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુક્કડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. અને સુંદર સ્વાગતગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા.આ કાર્યક્રમમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રેમજીભાઇ ભીલ, ગામના સરપંચ તથા માજી સરપંચ હિમ્મતભાઇ બારીયા, તાલુકા અગ્રણી બાલુભાઇ બારિયા, નાયબ માહિતી નિયામક અરવિંદભાઇ મછાર, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવા, તાલુકા હેલ્થ ઓફિસર સહિત અધિકારીઓ, સંબંધિત વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News