પોઝિટિવ કેસનો કુલ આંક 28,389 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 250, કુલ 26,362 દર્દી રિકવર થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 16:17:22
  • Views : 238
  • Modified Date : 2021-04-01 16:17:22

    વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 28,389 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 250 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 26,362 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1777 એક્ટિવ કેસ પૈકી 177 દર્દી ઓક્સિજન ઉપર અને 106 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1494 દર્દીની હાલત સ્થિર છે.

    ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં ICU બેડની ક્ષમતા વધારવાનો સંકેત આપ્યો છે. તેમણે આજે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે અહીં 575 ઉપલબ્ધ બેડ સામે 430 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. હાલમાં 145 બેડ ખાલી છે. આઇસીયુના 200 બેડ પૈકી 124 પર દર્દીઓ છે અને 76 ખાલી છે. આગામી બે દિવસમાં સયાજી હોસ્પિટલમાં આઇસીયુ બેડની સંખ્યા 200થી વધારીને 250 કરવાનો તેમણે સંકેત આપ્યો હતો.

    ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલમાં કોવીડની સારવાર અને વધુ સારા સંકલન માટે 9 ઉચ્ચ કક્ષાના તબીબી અઘિકારીઓને વિભાગ અને ફ્લોર વાર જવાબદારીઓ સોંપીને દિવસમાં બે વાર સીધેસીધા તેમને રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ તબીબો ડો. વિનોદ રાવ ઉપરાંત હોસ્પિટલના તબીબી અધિક્ષકને પણ રિપોર્ટ કરશે. આજે સવારે તેમણે ગોત્રી હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટીમ મેમ્બર્સ સાથે બેઠક યોજી હતી અને હાલમાં અહી 500 જેટલા દર્દીઓ દાખલ હોવાથી અસરકારક પ્રબંધન અને જવાબદેહી માટે ઉપરોક્ત તબીબો અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી હતી.

    ડો.મયુર અડાલજાને ઓપીડી ઇન્ચાર્જ, દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સંકલન અને સંદેશા વ્યવહાર માટે ડો.આશિષ સચદેવ, વેન્ટિલેટર અને ઓક્સિજનના મેનેજમેન્ટ માટે ડો નીતા બોઝ, હોસ્પિટલમાં નોંધાતા મરણ અંગે સંકલન સહિતની તમામ બાબતો અંગે ડો.હિતેશ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલને ચાર સેક્શનમાં વહેંચીને તેનું નેતૃત્વ સેક્શન હેડને સોંપવામાં આવ્યું છે. તે પ્રમાણે ડો.મીનાક્ષી શાહ ડોમ સ્ટ્રકચરની, ડો.અનુપ ચંદાણી ચોથા માળની, ડો.ભાવેશ દલવાડી 5માં માળની અને ડો.ચિરાગ રાઠોડ છઠ્ઠા માળની અને ડો.શુભાંગી દેશપાંડે 7માં માળની જવાબદારી સંભાળશે.

    વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 28,389 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4321, પશ્ચિમ ઝોનમાં 4894, ઉત્તર ઝોનમાં 5666, દક્ષિણ ઝોનમાં 5304, વડોદરા ગ્રામ્યમાં 8168 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.


Download Our B K News Today App



Related News