આજે આઠ માર્ચ છે અને આઠ માર્ચ એટ્લે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 11:42:16
  • Views : 222
  • Modified Date : 2022-03-08 11:42:16

આજે આઠ માર્ચ છે અને આઠ માર્ચ એટ્લે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

આજે આઠ માર્ચ છે અને આઠ માર્ચ એટ્લે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ...આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આજે આપણે એવી મહિલા વિષે વાત કરીશું કે જેને અનેક સંઘર્ષોનો સામનો કરીને એ મુકામ મેળવ્યું છે કે જ્યાં પહોંચવું પુરુષો માટે પણ સરળ નથી.. આ મહિલા છે ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો. રાજુલબેન દેસાઇ.. સામાન્ય પરિવારની આ દીકરી આજે સમગ્ર ભારતમાં મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે અને ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.. તો નિહાળીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ડો. રાજુલબેન દેસાઇ પર વિશેષ અહેવાલ

 

ગુજરાતનાં સાબરકાંઠા જીલ્લામાં આવેલા હિંમતનગરમાં રબારી સમાજના એક શિક્ષિત પરિવારમાં નવમી મે ૧૯૭૮ના રોજ રાજુલબેન દેસાઇનો જન્મ થયો હતો.. રાજુલબેનના પિતા લલ્લુભાઈ દેસાઇ વકીલાતનો વ્યવસાય કરતાં હતા અને પરિવાર પણ શિક્ષિત હતો.. એટ્લે કહી શકાય કે શિક્ષણ પ્રત્યેનો લગાવ તો તેમના વારસામાં જ મળ્યો હતો... રાજુલબેન દેસાઇએ તેમના બાળપણનો સમય હિંમત નગરમાં જ વિતાવ્યો અને એકથી બાર ધોરણ સુધીનો અભ્યાસ હિંમતનગરમાં આવેલી શ્રી હિંમત હાઈસ્કૂલમાં પૂરો કર્યો અને ત્યારબાદ હિંમતનગર આર્ટ્સ કોલેજમાંથી મનોવિજ્ઞાનની બેચલર ડિગ્રી મેળવી... પરંતુ રાજુલબેન દેસાઇનું સપનું કાયદાના પાઠ ભણવાનું હતું અને પોતાના ગ્રેજ્યુએશન બાદ તેમણે હિંમતનગર લો કોલેજમાંથી લોની માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરીને એલ.એલ.એમ. પણ પૂરું કર્યું... અને પાલનપુર ખાતે આવેલી જી.ડી.મોદી લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને સાત વર્ષ સુધી ફરજ બજાવી... પરંતુ વધુ અભ્યાસને ખેવના હોવાના લીધે રાજુલબેન દેસાઇએ આગળ અભ્યાસ ચાલુ રહ્યો અને જી.પી.એસ.સી.માં ક્લાસ ટુની પરીક્ષા પાસ કરી અને અમદાવાદ ખાતે આવેલા મણિનગર વિસ્તારની કે.કા.શાસ્ત્રી સરકારી લો કોલેજમાં સરકારી નોકરી તરીકે જોડાયા... પરંતુ પોતાના પરિવારની જવાબદારી હોવાના લીધે રાજુલબેન દેસાઇએ પરિવારના દેખરેખની ચિંતાના કારણે પલભરમાં કોઈપણ વિચાર કર્યા વગર સરકારી નોકરી માથી રાજીનામું આપીને બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પરિવાર સાથે સ્થાયી થયા.. એટ્લે કહી શકાય કે રાજુલબેને એ પણ સાબિત કરી બતાવ્યુ છે કે સ્ત્રી ત્યાગ અને બલિદાનની મુર્તિ છે.. જે તે સમયે પરિવારની જવાબદારી હોવાના લીધે રાજુલબેન દેસાઇએ સરકારી નોકરીમાથી રાજીનામું આપ્યું ત્યારે તેની નોંધ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી.. અને રાજીનામાંનું કારણ જાણીને નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થઈ ગયા હતા.. અને ત્યારબાદ રાજુલબેનની પ્રતિભાને બહાર લાવવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા શશક્તિકરણની જવાબદારી સોંપી... રાજુલબેન દેસાઇએ સરકારી નોકરીમથી રાજીનામું આપ્યા બાદ ડીસા સ્થાયી થઈ ગયા... પરંતુ પોતાનાંમાં રહેલી શિક્ષણની ભૂખના લીધે તેઓ ડીસા આવ્યા બાદ પણ શિક્ષણ સાથે જોડાયેલા રહેવા ઈચ્છી રહ્યા હતા. અને પછાત બનાસકાંઠા જીલ્લામાં પણ કિશોર અને કિશોરીઑ કાયદાને સમજતા થાય તે માટે ડીસામાં પ્રથમવાર લો કોલેજની શરૂઆત કરી.. ડીસા શહેરથી દૂર કાંટ ગામમાં શરૂ કરેલી આ લો કોલેજમાં રાજુલબેન દેસાઇ પ્રિન્સિપાલની સાથે સાથે પ્રોફેસરની જવાબદારી પણ સાંભળી રહ્યા હતા.. અને અનેક વિધાર્થીઓને કાયદાના તજજ્ઞ બનાવ્યા.. રાજુલબેન દેસાઇ કાંટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.. તે દરમ્યાન જ ગુજરાત સરકાર દ્વારા રાજુલબેન દેસાઇને ગુજરાત રાજ્ય બાલ આયોગના સભ્ય તરીકે નીમવામાં આવ્યા.. અને રાજ્ય સરકારની પાલક માતપિતા યોજનાનો ગુજરાતના ગામડા ગામડા સુધી જોરદાર પ્રચાર કરવાની સાથે સાથે સરકારની આ યોજનાનો અસંખ્ય લોકોને પણ લાભ અપાવ્યો... રાજુબેન દેસાઇ એક તરફ શિક્ષણના રથને વેગ આપી રહ્યા હતા તો બીજી તરફ સમાજમાં જાગૃતિ લાવવા ઉપરાંત સરકારની યોજનાઓ છેવાડાના માણસો સુધી કેવી રીતે પહોંચે તે વિષે પણ સતત પ્રયાસ કરી રહ્યા હતા.. તેમની કામ કરવાની આ ધગસને પગલે જ કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ ૨૦૧૯માં ડો. રાજુલબેન દેસાઇની નિમણુંક રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે કરવામાં આવી હતી.. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય બનતાં હવે રાજુલબેન દેસાઇને કામ કરવા માટે વિશાળ મેદાન મળી ગયું હતું અને ભારતભરમાં રાજુલબેન મહિલાઓના પ્રશ્નો લાવવા માટે તાત્કાલિક સક્રિય બની ગયા હતા.. અને દેશના ખૂણે ખૂણે પહોંચીને મહિલાઓ સાથે અત્યાચાર અટકાવવા માટે સતત પ્રયાસો કરવા લાગ્યા હતા..

રાજુલબેન દેસાઇ કર્મયોગી પ્રતિભા ધરાવે છે અને કામ કરવામાં માને છે અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય બનતાં તેમણે જે કામ કરવાની ભૂખ હતી તે ભૂખ સંતોષવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ સારું પ્લેટફોર્મ બની ગયું... રાજુલબેન દેસાઇ મહિલા આયોગના સદસ્ય બન્યા બાદ મહિલાના હતા શોષણ સામે જાણે જંગ છેડી હોય તેમ સક્રિય બની ગયા હતા.. ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એવી અલહાબાદ યુનિવર્સિટીના કુલ પતિ જે. જે. હાંગલું દ્વારા મહિલાઓનું જાતિય શોષણ કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી.. પરંતુ દર વખતે આ લંપટ કુલપતિને પોતાની વગના લીધે ક્લીનચિટ મળી જતી હતી.. પણ કુલપતિની ફરિયાદ મહિલા આયોગમાં થતાં રાજુલબેન દેસાઇએ અલહાબાદ યુનિવર્સિટી જાતે પહોંચીને આ આખા મામલાની તપાસ શરૂ કરી... યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મહિલાઓના નિવેદનો લીધા અને જાત તપાસ કરીને તપાસને અહેવાલ સરકારને સોંપ્યો... રાજુલબેનની તપાસના આધારે માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ કુલપતિ જે.જે.હાંગલુંને સરકારે પદભ્રષ્ટ કરી દીધા...

રાજુલબેન દેસાઇ કર્મયોગી મહિલા છે અને કામ કરવાથી તે ક્યારેય પાછા નથી રહ્યા... પ્રશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહિલાઓ સાથે છેડતી અને બળાત્કાર જેવા જ્ધન્ય કૃત્ય આચરવામાં આવ્યા હોવાની ફરિયાદો સામે આવી હતી.. આ  ગંભીર ફરિયાદને પગલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ નીમવામાં આવ્યું અને આ પંચમાં રાજુલબેન દેસાઇનો સમાવેશ કરવામાં આવ્યો.. રાજુલબેન દેસાઇ પ્રશ્ચિમ બંગાળમાં પણ પીડિત મહિલાઓ માટે મસીહા બનીને આવ્યા અને ન્યાયિક તપાસ કરીને અસંખ્ય ગુનેગારોની અટકાયત કરવામાં સફળ રહ્યા અને પ્રશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની ભોગ બનેલી મહિલાઓને ન્યાય અપાવ્યો હતો..

રાજુલબેન દેસાઇ મહિલાઓના ઉત્કર્ષ  માટે ક્યારેય પાછા રહ્યા નથી.. એવું નથી કે ફરિયાદ આવી હોય તેટલી જ બાબતોનું નિરાકરણ લાવ્યું હોય.. ઘણા કિસ્સાઓમા ફરિયાદ વગર પણ જાતે સર્વે કરીને મહિલાઓના જીવનને દોજખ થતું બચાવ્યું છે.. આવું જ કઈક ઉત્તર પ્રદેશમાં આવેલા વૃંદાવન પણ બન્યું... વૃંદાવનમાં જે મહિલાઓ વિધવા થઈ જાય છે તે મહિલાઓને મોકલી દેવામાં આવે છે.. આવી મહિલાઓ અહી આવીને ભક્તિ કરતી હોય છે.. પરંતુ પોતાનું ગુજરાન ચલાવવા માટે ભક્તિ કરવા આવેલી આ મહિલાઓને મજબૂરીથી ભીખ માંગવી પડતી હોય છે.. અને ભીખ માંગીને આ મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવે છે.. આ બાબત રાજુલબેન દેસાઇના ધ્યાને આવતા રાજુલબેન દેસાઇએ તાત્કાલિક ઉત્તર પ્રદેશ સરકારનો સંપર્ક કરીને આ મહિલાઓ માટે તેમના ગુજરાન ચલાવવાની વ્યવસ્થા કરાવી.. અને જે મહિલાઓને પોતાના ઘરે પરત જવું હતું તે મહિલાઓને પરત તેમના ઘરે પણ પહોંચાડી....

 મહિલાને સતાવતા પ્રશ્નોના નિવારણ માટે હંમેશા અગ્રેસર રહેતા રાજુલબેન દેસાઇની કામગીરીથી સરકાર પણ પ્રભાવિત છે.. હંમેશા પ્રશ્નોનું સચોટ નિવારણ લાવતા રાજુલબેન દેસાઇને સરકાર દ્વારા અત્યારે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.. વર્તમાન સમયમાં સરકારની નવી શિક્ષણ પધ્ધતિમાં મહિલા સુરક્ષા કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટીમાં રાજુલબેન દેસાઇને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.. આ કમિટી દેશની તમામ યુનિવર્સિટીમાં મહિલાઓને ક્યાં ક્યાં પ્રશ્નો સતાવી રહ્યા છે..? તેના નિવારણ અને મહિલાઓને સુરક્ષા મળી રહે તે માટે નીતિઓ તૈયાર કરતી હોય છે.. અને વર્તમાન સમયમાં રાજુલબેન દેસાઈના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સુરક્ષા કમિટીની રચના કરાઇ છે...

રાજુલબેન દેસાઇએ સાબિત કરી બતાવ્યુ છે કે નારી માત્ર નારી નથી.. પરંતુ સાક્ષાત નારાયણી છે.. અને વર્તમાન સમયમાં જે રીતે મહિલાઓના ઉત્કર્ષ માટે રાજુલબેન દેસાઇ જે કાર્ય કરી રહ્યા છે તે સાક્ષાત નારાયણીની પ્રતીતિ કરાવી રહ્યા છે.. એક એવી મહિલા કે જેને સરકારી નોકરીને પણ પરિવાર માટે ત્યાગ કરી અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં જોડાયા બાદ દિલ્લી ગયા અને સાથે તેમના પરિવારને પણ દિલ્લી લઈ ગયા અને ત્યાં પણ પોતાના બાળકોની કેળવણીનું સંપૂર્ણ ધન રાખી રહ્યા છે.. રાજુલબેન દેસાઇ ન માત્ર બનાસકાંઠા કે સાબરકાંઠા પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધારી રહ્યા છે...

Download Our B K News Today App



Related News