બેકાબૂ બની રહ્યો છે કોરોના, મહારાષ્ટ્રના આ શહેરમાં આજથી લોકડાઉન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 13:37:45
  • Views : 300
  • Modified Date : 2021-03-15 13:37:45

     દેશભરમાં કોરોના વાયરસ  ના નવા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,291 દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની સ્થિતિ ચિંતામાં વધારો કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપના પગલે તાબડતોબ કડક પગલાં લેવાઈ રહ્યા છે. આજથી નાગપુરમાં લોકડાઉન લાગ્યું છે. આ લોકડાઉન એક અઠવાડિયા માટે રહેશે. 

    સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,291 નવા દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,13,85,339 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,10,07,352 લોકો સાજા થયા છે જ્યારે 2,19,262 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 118 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,58,725 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 2,99,08,038 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. 

    કોરોનાના વધતા કેસને જોતા નાગપુરમાં 15મી માર્ચથી 21મી માર્ચ સુધી લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન ઈમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ બંધ રહેશે. લોકડાઉન દરમિયાન શાકભાજી, દૂધ અને જરૂરિયાતની વસ્તુઓની આપૂર્તિ ચાલુ રહેશે. નાગપુર પોલીસ કમિશનર હેઠળ જેટલા વિસ્તારો આવે છે ત્યાં લોકડાઉન લાગુ કરાયું છે. અત્રે જણાવવાનું કે એક વર્ષ પહેલા નાગપુરમાં 11 માર્ચના રોજ કોરોના વાયરસનો પહેલો દર્દી મળ્યો હતો. 

    ઔરંગાબાદમાં પણ છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ચિંતાતૂર પ્રશાસને 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લગાવ્યું છે. જેમાં દર શનિવાર અને રવિવારે કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અહીં પણ લોકડાઉનમાં જરૂરિયાતની સેવાઓને બાદ કરતા બજાર સંપૂર્ણ રીતે બંધ રખાયા છે. 

    કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્ર લોક સેવા આયોગની પરીક્ષાની તારીખ પણ આગળ વધારવામાં આવી છે. એસપીએસસીની પરીક્ષા રવિવાર 14 માર્ચના રોજ થવાની હતી, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કારણે આકરા પ્રતિબંધો લાગુ છે જેને ધ્યાનમાં રાખતા પરીક્ષા ટાળવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારથી કરફ્યૂની જાહેરાત કરાઈ છે. અહીં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ કરફ્યૂ નવો આદેશ બહાર ન પડે  ત્યાં સુધી ચાલુ રહેશે. આ સાથે જ નાસિક, નંદગાવ, માલેગાવ, અને નિફાડમાં તમામ શાળાઓને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

    આ અગાઉ ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે જો મુંબઈમાં આ જ ઝડપથી કોરોનાના કેસ વધતા રહ્યા તો નાઈટ કરફ્યૂ કે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. વિધાન સભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં અસલમ શેખે કહ્યું કે અધિકારીઓને લોકડાઉન પર નિર્ણય લેવાનો અધિકાર અપાયો છે. એટલે કે અધિકારી પોતાની સમજથી લોકડાઉન પર નિર્ણય લઈ શકે છે. 

    અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 16,620 નવા કેસ આવ્યા. શુક્રવારે અને શનિવારે પણ 15 હજારથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના  1,26,231 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં કોરોનાના 8861 દર્દીઓ સાજા થયા. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 50 લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્યમાં કોરોના મહામારીથી રિકવરી રેટ 92.21 ટકા છે. ફક્ત પુણે શહેરમાં જ રવિવારે 1740 નવા કેસ સામે આવ્યા. જ્યારે પુણેમાં કોરોનાથી એક દિવસમાં 17 લોકોના મોત થયા છે. 

 

Download Our B K News Today App



Related News