અમદાવાદમાં બેસણામાં આવેલા લોકો પર આસપાસના લોકોએ હૂમલો કર્યો, વાહનોમાં તોડફોડ કરી, અનેક લોકો ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 15:29:06
  • Views : 531
  • Modified Date : 2021-05-04 15:29:06

    અમદાવાદમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. હજી એક દિવસ પહેલા જ અમરાઈવાડી વિસ્તારમાં PSI અને પોલીસકર્મીઓને ગુનેગારોને મદદ કરવા મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે હવે કેટલાક અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું છે. તેમણે બેસણામાં આવેલા લોકોને બેફામ માર માર્યો છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. લોકોના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી છે.

    પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી પાસે આજે એક ઘરમાં મૃતકનું બેસણું રાખવામાં આવ્યું હતું. જ્યાં પરિવારના લોકો આવ્યાં હતાં. આ સમયે આસપાસના કેટલાક અસામાજિક તત્વો ત્યાં પહોંચ્યાં હતાં અને ગેરવર્તણૂંક કરી રહ્યાં હતાં. એક તરફ પરિવારમાં મૃતકના મોતથી અનેક લોકો દુઃખી હતાં ત્યારે આજુબાજુ ઉભેલા લોકો જોર જોરથી હસતાં હતાં.

    આસપાસ ઉભેલા લોકો હસી રહ્યાં હતાં અને મજાક મસ્તી કરી રહ્યાં હતાં. જેથી મૃતકના પરિવારજનોએ તેમને આવું નહીં કરવા કહ્યું હતું. જેથી સામે વાળા લોકો ઉશ્કેરાઈ ગયા અને મોતનો મલાજો જાળવવાના બદલે બેસણામાં આવેલા લોકો પર તૂટી પડ્યાં હતાં. આ હૂમલામાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં ત્રણ મકાનમાં તોડફોડ પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News