આરોગ્ય મંત્રાલયે કહ્યું- કેન્દ્ર રાજ્યોને મફતમાં વેક્સિન આપશે; કંપની પાસેથી સીધી વેક્સિન ખરીદવી હશે તો પૈસા આપવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 13:56:19
  • Views : 290
  • Modified Date : 2021-04-24 13:56:19

    કેન્દ્ર સરકાર રાજ્યોને કોરોનાની વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માટે બન્ને વેક્સિનના ભાવ 150 રૂ. પ્રતિ ડોઝ છે. આ રેટ પર વેક્સિન ખરીદીને કેન્દ્ર સરકાર પહેલાની જેમ રાજ્યોને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવતી રહેશે. જો રાજ્ય સરકારે વધારે ડોઝ ખરીદવા હશે તો સીધો કંપનીનો સંપર્ક સાધીને નિર્ધારીત રકમ ચૂકવી વેક્સિન ખરીદી શકે છે.

    આની પહેલા કોંગ્રેસના નેતા જયરામે વેક્સિનના ભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ સોશિયલ મીડિમા એક પોસ્ટના માધ્યમથી શેર કર્યું હતું કે ખાનગી હોસ્પિટલોને સીરમ 600 રૂપિયા પ્રતિ ડોઝના ભાવથી કોવિશીલ્ડ વેક્સિન ઉપલબ્ધ કરાવાશે, જે વિશ્વમાં વેક્સિનનો સૌથી વધુ ભાવ છે.

    તેઓએ લખ્યું હતું કે, "રાજ્ય સરકારોને આ વેક્સિન 400 રૂપિયાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અમેરિકા, બ્રિટન, યૂરોપિયન યૂનિયન, સાઉદી, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા દરથી પણ વધારે છે. ભારતમાં બનેલી વેક્સિનનો આપણાં જ દેશમાં આટલો બધો ભાવ કેમ? તેથીજ વેક્સિનના ભાવો ફરીથી નક્કી કરવા જોઈએ."આની પહેલા સરકારે નિર્ણય કર્યો હતો કે 1લી મેથી 18થી વધુ ઉંમરના લોકો પણ વેક્સિનેશનમાં ભાગ લઈ શકશે. સરકારે બીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ લીધો હતો કે વેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીઓએ 50 ટકા જથ્થો કેન્દ્રને આપવાનો રહેશે અને અન્ય 50 ટકા તેઓ રાજ્ય સરકાર અથવા ઓપન માર્કેટમાં પોતાની રીતે વેચી શકે છે.

    વેક્સિનેશન માટે પહેલાની જેમ કોવિન પર નોંધણી કરવી આવશ્યક રહેશે. ગત દિવસોની જેમ વેક્સિનની અછત ન સર્જાય તે અંગે રાજ્ય સરકારોને સીધો જથ્થો કંપની પાસેથી ખરીદી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.સરકાર દ્વારા ચલાવવામાં આવતું ફ્રીમાં વેક્સિનેશન પણ કાર્યરત રહેશે. જેમાં પ્રાથમિકતા ધરાવતા જૂથોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45થી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરાયો છે. વેક્સિનેશનમાં ભાગ લેનારા હેલ્થ વર્કર અને અન્ય લોકો, કે જેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને પ્રાથમિકતાના ધોરણે આ વેક્સિનેશનમાં બીજો ડોઝ આપવામાં આવશે. વેક્સિનેશનમાં પ્રથમ ડોઝ લેનાર 45 વર્ષથી વધુના લોકોને બીજો ડોઝ લેવા માટે પ્રાથમિકતા અપાશે. આ સમગ્ર કાર્ય એક યોગ્ય રણનીતિના અંતર્ગત કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News