જપ્ત થયેલા વાહનો ધૂળ ખાય છે : અમદાવાદ પોલીસે બે વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગમાં 83,884 વાહનો જપ્ત કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:25:14
  • Views : 343
  • Modified Date : 2022-03-19 12:25:14

જપ્ત થયેલા વાહનો ધૂળ ખાય છે : અમદાવાદ પોલીસે બે વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગમાં 83,884 વાહનો જપ્ત કર્યા

 

વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમા સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના વાહનો પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા હતા. માત્ર અમદાવાદ શહેરમાં જ પોલીસે છેલ્લા બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા હતા, જેમાંથી 6,541 હજુ સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી કે, વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહનો જપ્ત કર્યા હતા.

 

સરકારી આંકડા અનુસાર, જપ્ત કરાયેલા વાહનોના માલિકો પાસેથી 11.02 કરોડ રુપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 2020માં જે વાહનોને જપ્ત કરાયા હતા તેમને છોડાવવા તેમના માલિકોએ સરેરાશ 1425 રુપિયા દંડ ભરવો પડ્યો હતો. આ વર્ષમાં 62,993 વાહનો જપ્ત કરાયા હતા, જેમાંથી 4,034 હજુય બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનોમાં પડ્યા છે. 2021માં પોલીસે 20,891 વાહનો જપ્ત કર્યા હતાં, જેમાંથી 2,507 વાહનો હજુય કોઈ છોડાવવા નથી આવ્યું.

 

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં જો વાહન કેટલાક મહિના સુધી પડ્યું રહે તો પણ તેને છોડાવવા ઉપરાંત રિપેર કરાવવાનો ખર્ચો 25થી 50 હજાર રુપિયા જેટલો આવતો હોય છે. તેવામાં ઘણા વાહન માલિકો તેને છોડાવવાનું જ માંડી વાળે છે. બિનવારસી પડેલા મોટાભાગના વાહનો ટુ વ્હીલર અને રિક્ષા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં ગાડીઓ પણ કોઈ છોડાવવા નથી આવતું.

 

આરટીઓના સુત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વાહનો એવા પણ છે કે જેને સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવ્યા હોય, પરંતુ તેની માલિકી ટ્રાન્સફર ના કરાઈ હોય. ઘણા કિસ્સામાં વાહનના મૂળ માલિકનો અતોપતો ના હોવાથી તેને છોડાવવું મુશ્કેલ બની જાય છે. તો કેટલાક મામલામાં વાહન માલિક પાસે PUC, RTOની રસીદ તેમજ RC બુક ના હોવાના કારણે તેને છોડાવી નથી શકાતા. વાહન જો જૂનું હોય તો ઘણીવાર તેને છોડાવવા માટે દંડની જેટલી રકમ ભરવાની આવે તે વાહનની કિંમત કરતાં પણ વધી જતી હોવાથી પણ લોકો તેના માટે તૈયાર નથી થતા.

 

 

Download Our B K News Today App



Related News