બનાસકાંઠા જિલ્લામાં કોમ્યુનિટી સર્વે ૧૦૦ ટકા પૂર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 11:33:03
  • Views : 869
  • Modified Date : 2020-03-26 11:33:03

 નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા  વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને રોકવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.  બનાસકાંઠા જિલ્લામાં કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાતદિવસ અથાક કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ કોરોના વાયરસને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની માહિતી આપતા જણાવ્યું છે કે, કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, જિલ્લામાં કોમ્યુનિટી સર્વે ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પાલનપુર, ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સિવાય કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વધુ બે પાલનપુર ખાતે સમર્પણ અને ડીસા ખાતે ગાંધીલિંકન હોસ્પીટલ આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા બહારથી આવેલા ૨૨,૮૨૮ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ અને મોનીટરીંગ, હાઇરીસ્ક ગ્રુપના તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ અને મોનીટરીંગ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે.
આજદિન સુધી વિદેશમાંથી આવેલા ૪૦૨ પ્રવાસીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૪૨ પ્રવાસીઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે. ૧૩૯ પ્રવાસીઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે. બનાસકાંઠા જિલ્લામાં આજદિન સુધી કોરોના સંક્રમિત એકપણ કેસ પોઝીટીવ નોંધાયો નથી. આગામી ૨૦ દિવસ સુધી લોકડાઉન હોઇ ગ્રામ્યકક્ષાએ સરળતાથી તબીબી સારવાર મળી રહે અને લોકોને શહેર સુધી આવવુ ન પડે તે માટે મોબાઇલ મેડીકલ ટીમની સુવિધા દરેક ગામમાં મળે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. નક્કી કરેલા ચોક્કસ સમયે અને સ્થળે મેડીકલ ટીમ ગામમાં આવીને જરૂરીયાતવાળા લોકોને સારવાર આપશે.

Download Our B K News Today App



Related News