અફવા : અમદાવાદમાં અડધી રાતે પેટ્રોલ પૂરાવવા પડાપડી, ખાડી દેશો દ્વારા ભારતનું ઈંધણ બંધ કરી દેવાની ફેલાઈ અફવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 12:04:57
  • Views : 196
  • Modified Date : 2022-06-12 12:04:57


અફવા : અમદાવાદમાં અડધી રાતે પેટ્રોલ પૂરાવવા પડાપડી, ખાડી દેશો દ્વારા ભારતનું ઈંધણ બંધ કરી દેવાની ફેલાઈ અફવા


ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કારની અફવાને પગલે મોડી રાત્રે અમદાવાદ સહિત અન્ય જિલ્લાના પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગી હતી. ખાડી દેશોની નારાજગીના કારણે ભારતને ઈંધણ નહીં મળવાની અફવા ફેલાઈ હતી. જેના લીધે આ અફવાઓને વેગ મળતા મોટી સંખ્યામાં મોડી રાત્રે લોકો પેટ્રોલપંપ પર પહોંચ્યા હતાં.


અત્રે નોંધનીય છે કે, આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી.


પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા રસ્તા પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો 


અમુક પ્રકારની અફવાના કારણે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થતાની સાથે જ મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા અને મોડેકથી એવી સ્થિતિ સર્જાઇ હતી કે રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે.


ગઇકાલે પણ સાવરકુંડલાના પેટ્રોલ પંપ પર પણ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી


ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.


પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા


મહત્વનું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને અફવાઓનું બજાર છાશવારે ગરમ રહેતું હોય છે. તેવા સંજોગો વચ્ચે કુવૈતથી ભારતને પેટ્રોલ નહી મળવાની અફવાઓને લઈને સાવરકુંડલાના દરેક પેટ્રોલ પંપ પર લોકો લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહી પેટ્રોલ પુરાવતા નજરે પડ્યા હતા. બીજી તરફ પેટ્રોલ પંપ પર મધરાતે એકસામટો ઘસારો જોવા મળતા પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા હતા.


 


 


Download Our B K News Today App



Related News