અલ્હાબાદ હાઈકોર્ટમાંથી 3 મહિનામાં મસ્જિદ હટાવો, SCએ આપ્યો કડક આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 16:54:16
  • Views : 582
  • Modified Date : 2023-03-14 16:54:16

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા આ આદેશ આપ્યો છે, જેમાં તેમને મસ્જિદને તેના પરિસરમાંથી હટાવવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે વક્ફ મસ્જિદ, હાઈકોર્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી અને કહ્યું કે તમને મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું કે જો તમે આજથી ત્રણ મહિનાની અંદર મસ્જિદને હટાવી નહીં, તો ઓથોરિટીઝને તેને તોડી પાડવાની છૂટ હશે.

આ ઉપરાંત બેન્ચે અરજદારોને ઉત્તર પ્રદેશ સરકારને મેમોરેન્ડમ સબમિટ કરવાની પણ મંજૂરી આપી હતી, જેમાં મસ્જિદ માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી હતી. ખંડપીઠે કહ્યું કે, રાજ્ય સરકાર તમારી માંગ પર નિયમો પ્રમાણે વિચાર કરી શકે છે. ખંડપીઠે નોંધ્યું હતું કે હાઈકોર્ટ પરિસરમાં આવેલી મસ્જિદ સરકારને લીઝ પર આપવામાં આવેલી જમીન પર આવેલી છે. તેની લીઝ 2022માં જ રદ કરવામાં આવી હતી. આ પછી, 2004 માં, આ જમીન હાઇકોર્ટને આપવામાં આવી હતી જેથી તે તેના પરિસરનો વિસ્તાર કરી શકે.

સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે હાઇકોર્ટે 2012માં તેની જમીન પાછી માંગી હતી. તેના પર મસ્જિદનો કોઈ કાનૂની અધિકાર નથી. આવી સ્થિતિમાં અમે હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકીએ નહીં. જણાવી દઈએ કે અભિષેક શુક્લા નામના એડવોકેટની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદને હટાવવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદની તરફેણમાં બોલતા કપિલ સિબ્બલે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટની ઈમારત 1861માં બની હતી. ત્યારથી મુસ્લિમ વકીલો, કારકુનો અને અસીલો (ક્લાઈન્ટ) ઉત્તર ખૂણામાં શુક્રવારની નમાજ અદા કરતા હતા. પરંતુ આ જગ્યાએ પાછળથી ન્યાયાધીશોની ચેમ્બર બનાવવામાં આવી હતી.

જો કે મુસ્લિમ વકીલોની માંગ પર હાઈકોર્ટે નમાઝ માટે દક્ષિણ છેડે જગ્યા આપી હતી. બાદમાં અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી, પરંતુ આ જમીનની લીઝ ખતમ થઈ જતાં મસ્જિદને હટાવવાની માગણી થઈ રહી છે, જે ખોટી છે. તેમણે કહ્યું કે જે મસ્જિદને હટાવવાની વાત કરવામાં આવી રહી છે તે અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરની બહાર રોડ કિનારે બનેલી છે. આવી સ્થિતિમાં આ મસ્જિદ હાઈકોર્ટ પરિસરની અંદર છે તેવું કહેવું ખોટું હશે.

Download Our B K News Today App



Related News