મોંધવારી મુદ્દે આરબીઆઇ ગર્વનરનું મોટું નિવેદન, કહી આ વાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-26 17:38:58
  • Views : 185
  • Modified Date : 2024-10-26 17:38:58

ભારતીય અર્થતંત્રમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો( FII)દેશ છોડી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી શેરબજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘવારીનો (Inflation)આંક પણ ઉપર જઈ રહ્યો છે. જોકે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને વિશ્વાસ છે કે મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે. તેમણે કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓના કારણે મોંઘવારી પર દબાણ છે. પરંતુ દેશમાં ફુગાવો અને વૃદ્ધિ વચ્ચે સુમેળ છે. ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધી મોંઘવારી પર અંકુશ આવશે.આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર હવામાનની અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય સમસ્યાઓના કારણે ફુગાવાનો આંકડો અમારા લક્ષ્યાંક 4 ટકાથી ઉપર ગયો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન તેમાં સુધારો જોવા મળશે. મુંબઈમાં આયોજિત મેક્રો વીક 2024ને સંબોધતા તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને મજબૂતાઈએ નાણાકીય નીતિ સમિતિને વ્યાજ દરો ઉપરાંત ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપી છે. કોવિડ 19 ની ખરાબ અસરો છતાં અમે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં લગભગ 8 ટકાનો આર્થિક વિકાસ દર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ 2025માં પણ તે લગભગ 7.2 ટકા રહેવાની ધારણા છે.આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સ્થાનિક માંગ વધી રહી છે. આ ઉપરાંત દેશમાં મેન્યુફેક્ચરિંગ પણ વધી રહ્યું છે. દેશમાં ખાનગી રોકાણ પણ વધી રહ્યું છે. સરકારે મૂડીખર્ચ વધારવા અને બેંકોના નાણાકીય સ્વાસ્થ્યને મજબૂત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.નોન- બેકિંગ ફાયનાન્સ કંપનીઓ(NBFCs)પણ સારું પ્રદર્શન કરી રહી છે. કોર્પોરેટ સેક્ટર પણ રોકાણ વધારીને દેશની પ્રગતિમાં ફાળો આપી રહ્યું છે. કૃષિ ક્ષેત્રના વિકાસને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ માંગ વધવાની ધારણા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેંક વિશ્વમાં ઉદ્ભવતા આર્થિક સંકટને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News