105 વર્ષના ‘હીરાબા’એ મતદાન કર્યું, ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો, એક પણ વખત મતદાન ચૂક્યા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:44:24
  • Views : 336
  • Modified Date : 2021-02-28 12:44:24

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે આજ સવારથી જ મતદારોની લાંબી લાઇન લાગી છે. ત્યારે યુવાનોને શરમાવે તેવા 105 વર્ષના હીરૂબેને જસદણના વીરનગર ગામમાં મતદાન કરી મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. હીરૂબેન ગામમાં હીરાબાના નામથી ઓળખાય છે. હીરાબા હરજીભાઇ વઘાસીયાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, હું ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. તેમજ એક પણ વખત હું મતદાન કરવાનું ચૂકી નથી.

    હીરાબા વઘાસીયા વીરનગર ગામની શાળામાં મતદાન કરવા આવ્યા હતા. પોતાના ઘરેથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ આજે પણ લાકડીના ટેકા વગર ચાલી શકે છે અને ઘરનું દરેક કામ હોંશે હોંશે કરે છે. હીરાબાના પતિ હરજીભાઇનું 40 વર્ષ પહેલા થયું હતું. હીરાબાએ આજે ઘરમાં રહેલી પાંચમી પેઢીને પણ શીખ આપી હતી કે, લોકશાહીના પર્વમાં મતદાન અચૂક કરવું જોઇએ. 105 વર્ષે પણ હીરાબાને કોઇ પણ જાતની બિમારી નથી. પોતે જ પોતાનું કામ કરી પરિવારને પણ મદદરૂપ બને છે.

    હીરાબાને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રમાં પ્રેમજીભાઇ, પુત્રીઓમાં જડીબેન, ફુલીબેન, કાશીબેન, રંભાબેન અને અંબાબેનનો સમાવેશ થાય છે. સંતાનોના ઘરે પણ આજે ચોથી પેઢી છે. પાંચ-પાંચ પેઢી જોનાર હીરાબાએ ભાગ્યે જ દવાખાનું જોયું છે. હીરાબાનો પરિવાર ખેતી કરે છે.હીરાબાની ઉંમર હાલ 105 વર્ષની છે. તેઓના જીવનના રહસ્યની વાત કરીએ તો તેઓ સાદુ જ ભોજન લે છે. તેઓ બપોરે શાક-રોટલી તથા સાંજે દુધ-ખીચડીનું ભોજન લે છે. તેઓ નિયમિત સવારે વહેલા ઉઠી જાય અને સાંજે વહેલા સૂઇ જાય છે. આથી તેઓનું સ્વાસ્થ્ય આજે પણ અડીઘમ જીવન જીવી રહ્યાં છે.

    દેરડીકુંભાજી ગામે 90 વર્ષીય વૃદ્ધ કુરજીભાઈ બોરસાણીયાએ પેરેલિસીસી અને હૃદયની બીમારીથી પીડિત હોવા છતાં મતદાનની પવિત્ર ફરજને અદા કરી હતી. તો અન્ય એક 80 વર્ષીય વૃદ્ધાએ મતદાન મથક પર પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો. આ આ સાથે ગોંડલના સંતો-મહંતોએ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી.મતદાન કરવા માટે યુવાનોને અપીલ કરતા 90 વર્ષીય વૃદ્ધ કુરજીભાઈ બોરસાણીયાએ જણાવ્યું હતું કે, મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ, આપણો દેશ લોકશાહી છે અને તેની અખંડિતતા આપણા મતદાનથી જ જળવાય છે, જો હું આ ઉંમરે બીમારીને ભૂલીને પણ મતદાન કરતો હોવ તો તમે તો કરી જ શકો. ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્‍થપાયું છે. લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે. પરંતુ મતદારો મતદાનની આ અમૂલ્‍ય તકનો ઉપયોગ ન કરે અને મતદાનથી નિર્લેપ રહે, તો છેવટે પરિણામ સ્‍વયં નાગરિકોએ જ ભોગવવાનું આવે છે. માટે યુવાનોને અમારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો.

    મતદાનના મહત્વ વિશે વાત કરતા 80 વર્ષીય વૃદ્ધા લાભુબેન મકનભાઈ ગોળે જણાવ્યું હતું કે, હું કોરોનાને કારણે બને ત્યાં સુધી ઘરની બહાર નથી નીકળતી પણ આજે હું ખાસ મતદાન કરવા માટે આવી છું. મતદાન લોકોની સર્વોપરીતા અને લોકશાહીનો આધારસ્‍તંભ છે. આથી જ દુનિયાભરમાં લોકશાહી શાસન વ્‍યવસ્‍થાનો વ્‍યાપક પ્રમાણમાં સ્‍વીકાર થયો છે. જ્‍યાં લોકશાહી નથી, ત્‍યાં લોકોને મતાધિકાર નહિ હોવાથી શાસનમાં લોકોને અવાજ પહોંચતો નથી. મતદાન નહિ કરવાથી લોકશાહીનું બળ નબળું પડે છે. આથી દરેક નાગરિકે મતદાન અવશ્‍ય કરવું જોઇએ.

    જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા 109 વર્ષીય કુંવરબેન લીંબાસિયાએ રાજ સમઢિયાળા ગામે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. મને યાદ છે મહાત્મા ગાંધીએ એક વખત જણાવ્યું હતું કે આપણે ગમે તેવું રાજતંત્ર રચીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણું એક નાગરિક તરીકેનું કર્તવ્યપાલન અને મૂલ્યાંકન સમજી તેનો નિર્ભિક રીતે ઉપયોગ નહીં કરીએ, ત્યાં સુધી સાચુ સ્વરાજ અશક્ય છે. આથી જ દરેક નાગરિકે મતદાન કરવું જ જોઈએ.

    ગોંડલના અક્ષર મંદિરના સંતે જણાવ્યું હતું કે, પોતાનો મત વ્‍યક્‍ત કરવાનો અમૂલ્‍ય અવસર જતો ન કરવો જોઇએ. જ્‍યાં મતદાર જાગૃત હોય, મતદાન અવશ્‍ય કરતા હોય ત્‍યાં લોકશાહી મજબૂત બને છે. વિશ્વની લોકશાહી વ્‍યવસ્‍થામાં અને ભારતીય લોકશાહીના અતૂટ પાયા તરીકે મતદાર જ છે, તેથી દરેક મતદારે મતદાનની મહામૂલી ફરજ અચૂક નિભાવવી જોઇએ. આપણો એક મત દેશનું ભાવિ નિર્ધારિત કરે છે માટે સૌએ મતદાન તો કરવું જ જોઈએ.



Download Our B K News Today App



Related News