૮- થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 11:36:33
  • Views : 539
  • Modified Date : 2019-09-24 11:36:33

૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૨૧ સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ જાહેરાત થતાં જ થરાદ વિધાનસભા મતવિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી માહિતી મીડિયાને આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટરે જણાવ્યું કે, ચૂંટણીપંચ દ્વારા તા.૨૧
સપ્ટેમ્બર-૨૦૧૯ના રોજ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.  થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાશે અને મતગણતરી તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ કરવામાં આવશે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨,૧૭,૮૦૩ મતદારો છે. જેમાં પુરૂષ-૧,૧૫,૬૮૪ અને સ્ત્રી-૧,૦૨,૧૧૯ છે તથા ૬૧૩ દિવ્યાંગ મતદારો છે. થરાદ વિધાનસભા વિસ્તારમાં કુલ- ૨૬૦ મતદાન મથકો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે કહ્યુ કે, થરાદ વિસ્તાર રાજસ્થાન રાજયને અડીને આવેલો છે. તેથી ચૂંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે બોર્ડર વિસ્તારના અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.  વિધાનસભા-૨૦૧૭ વખતે
૮-થરાદના મતદારોની સંખ્યા કુલ-૨,૦૯,૧૮૩ હતી. હાલ તા.૨૧/૯/૨૦૧૯ની સ્થિતિએ થરાદ વિધાનસભાના મતદારોની સંખ્યા કુલ-૨,૧૭,૮૦૩ છે. આમ ગઇ વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કુલ-૮,૬૨૦ મતદારોનો વધારો થયો છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું  કે, મતદારો મતદારયાદી, ઇવીએમ, આચારસંહિતા અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ વગેરેની માહિતી મેળવી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પાલાઇન નં. ૧૯૫૦ ઉપર સંપર્ક કરી શકશે.  આ હેલ્પલાઇન પર લોકો ચૂંટણી સંબંધિત કમ્પલેઇન અને ફિડબેક પણ આપી શકે છે.  થરાદ વિધાનસભા મતવિસ્તારમાં ઇ.વી.એમ. અને વીવીપેટ મશીનોનું નિદર્શન કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નાગરિકો આચારસંહિતા ભંગ અને ખર્ચ સીમાના ઉલ્લંઘનની ફરિયાદ સીવીજીલ એપ પર
 પોતાની ઓળખ આપીને અથવા ઓળખ આપ્યા સિવાય પણ કરી શકશે.  સુવિધા એપ્લિકેશન દ્વારા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો સભા, સરઘસ, વાહનની પરવાનગી, લાઉડ સ્પીકર, હેલીકોપ્ટર વગેરેની પરવાનગી મેળવી શકશે. આ સુવિધા માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું  કે, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર માટે રૂ. ૨૮ લાખની ખર્ચ મર્યાદા પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે અને આ ચૂંટણી ખર્ચના દેખરેખ માટે  વિડીયો નિરીક્ષણ ટીમ-૨, વિડીયો દેખરેખ ટીમ-૧, એમ.સી.એમ.સી.-૧, સ્થાયી દેખરેખ ટીમ-૪, ફલાઇંગ સ્કવોડ-૩ વગેરેની નિમણુંક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચારની સામગ્રી સહિત અને ચૂંટણી લડતા ઉમેદવાર કે પક્ષના કાર્યકર સાથે સંબંધિત હોય તેવા વાહનો સાથે જો રૂ. ૫૦,૦૦૦/- થી વધુ રોકડ અથવા રૂ. ૧૦,૦૦૦/-થી વધુ મૂલ્યની ભેટ-સોગાદો અથવા નશીલી દવાઓ, દારૂ, હથિયારો પકડાશે તો ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, સીનિયર સબ એડીટર રેસુંગ ચૌહાણ સહિત પત્રકારમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News