ગોરવા વિસ્તારની 7 સોસાયટીમાં દૂષિત પાણીનું વિતરણ થતા લોકોમાં રોષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-15 15:15:26
  • Views : 88
  • Modified Date : 2023-12-15 15:15:26

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી 7 જેટલી સોસાયટીના 1200 જેટલા ઘરોમાં આવતા પીળા રંગના પાણીએ પારાયણ સર્જી છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં પીળુ,દૂષિત તેમજ દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જેના કારણે અહીંના લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.આ મામલે સ્થાનિકોએ કોર્પોરેશનને અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઇ સમાધાન કરવામાં આવ્યું ન હતુ. શુદ્ધ અને પીવાલાયક પાણી મળવાની રાહ જોતી મહિલાઓ આખરે રોષે ભરાઇ છે. મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઇને માટલા ફોડીને વિરોધ કર્યો છે.આ સાથે જ હાથમાં દૂષિત પાણીની બોટલ રાખી કોર્પોરેશન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા.ગોરવાના પ્રગતિ નગર, અનમોલ નગર, રણછોડરાય નગર, શાસ્ત્રી કુંજ, શ્રીહરિનગર, ચંદ્રલોક અને કૈલાશધામ સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું છે.આ વિસ્તારના કોર્પોરેટર પૂર્વ મેયર કેયુર રોકડીયા છે કે જેઓ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ છે.મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે કેયુર રોકડિયા દ્વારા આ મુદ્દે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.જો સમસ્યા નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં મત ન આપવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી.વિવાદ બાદ વોર્ડના ભાજપના અન્ય કોર્પોરેટર રાજેશ પ્રજાપતિએ સોસાયટીઓની મુલાકાત લીધી.તેમણે જણાવ્યું કે ડ્રેનેજ લાઇનની કુંડી અને પાણીની લાઇન ભળી જતા સમસ્યા સર્જાઇ છે જે બે દિવસમાં ઉકેલાઇ જશે.

Download Our B K News Today App



Related News