રાજકોટમાં ડિલિવરી બાદ માતા-પુત્રીનું મોત, સિવિલમાં પરિવારનો હોબાળો, યુવતી પોલીસ વાન પર ચડી ગઇ, પોલીસ સાથે ઘર્ષણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 14:31:03
  • Views : 238
  • Modified Date : 2021-03-10 14:31:03

    રાજકોટના જામનગર રોડ પર શેઠનગર પાછળ વાલ્મિકીવાસ-1માં રહેતી અનિતાબેન સાવનભાઇ વાઘેલાને પ્રસુતિની પીડા થતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. રાતે સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં ડિલિવરી બાદ અનિતાબેન અને તેની નવજાત બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. તબીબો અને સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવ્યાના રોષ સાથે મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. એક યુવતી પોલીસ વાન પર ચડી ગઇ હતી અને નરેન્દ્ર મોદી હાય હાય...વિજય રૂપાણી હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. પરિવારજનો બેકાબૂ બનતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. બાદમાં ન્યાયની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.


    પરિવારજનોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કરતાં પોલીસના ધાડેધાડા સિવિલ હોસ્પિટલમાં ઉતારવામાં આવ્યા હતા. આ વખતે મૃતકના પરિવારની એક દીકરીએ પોલીસવાન પર ચડી જઇ સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ ભારે તંગ થઇ જતાં વધારાની પોલીસ મોકલવી પડી હતી. બાદમાં પોલીસે ન્યાયની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પરિવારજનોનો આક્રોશ જોઇ થોડીવાર તો તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો.

    અનિતાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતાં. બાદમાં પ્રેગેનન્ટ થઇ હતી અને 8 માર્ચના રોજ પ્રસુતિની પીડા ઉપડતા એચ. જે. દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરીયન ડિલિવરી થતાં દીકરીનો જન્મ થયો હતો. પણ માતા-પુત્રી બંનેની તબિયત બગડતાં ખર્ચ વધી જાય તેમ હોય રાતે બંનેને સિવિલમાં લાવવામાં આવતાં બાળકીને કે. ટી. ચિલ્ડ્રનમાં અને માતાને ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેની અંતિમવિધી થયા બાદ ગત રાતે માતા અનિતાબેને પણ દમ તોડી દીધો હતો.

    સારવારમાં બેદરકારી દાખવવામાં આવ્યાના રોષ સાથે સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં ભેગા થઇ ગયા હતાં. સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી જવાબદાર હોસ્પિટલના સ્ટાફ સામે અને ડોક્ટર સામે તાકીદે પગલા લેવાની માગણી કરવામાં આવી હતી. પોલીસ પહોંચતા એક યુવતી પોલીસવાન પર ચડી ગઇ હતી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. દોઢ બે કલાક સુધી ધમાલ ચાલી હતી. એ પછી મોડી રાતે સિવિલના અધિક્ષકે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ જો બેદરકારી જણાશે તો જરૂર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપતાં પરિવારના વડીલોને વાત ગળે ઉતરી હતી અને મામલો શાંત પડ્યો હતો. સવારે પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે તેમ મૃતકના સ્વજન હિમતભાઇ વાઘેલાએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News