મમતાના પત્ર પર ચૂંટણી પંચનો જવાબ, કહ્યું નંદીગ્રામમાં પોલીંગ એજન્ટને રોકવાની વાત ખોટી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 14:52:52
  • Views : 207
  • Modified Date : 2021-04-04 14:52:52

    પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસી અને ભાજપ વચ્ચે આ વખતે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ અને ૧ એપ્રિલના રોજ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. જેમાં બીજા તબક્કામાં ૧ એપ્રિલના રોજ હાઈ- પ્રોફાઈલ નંદી ગ્રામ બેઠક જેના પરથી સીએમ મમતા બેનરજીઅને તેમના એક વખતના જુના સાથી અને હાલ ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી વચ્ચે સીધો મુકાલબો હતો. 

    આ દરમ્યાન મમતા બેનરજીએ નંદીગ્રામમાં તેમના પોલીંગ એજન્ટને રોકવામાં આવ્યો હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. ચૂંટણી પંચે રવિવારે મમતા  બેનર્જીના  પત્રનો જવાબ આપ્યો છે. આયોગે કહ્યું કે નંદી ગ્રામમાં મતદાન દરમિયાન કોઈ અવરોધ ઉભો થયો નથી. ટીએમસીના પોલિંગ એજન્ટ બૂથ પર આવ્યા ન હતા. પંચે વધુમાં કહ્યું કે બુથ પર મતદાન એજન્ટને રોકવાનો મુદ્દો ખોટો છે. બુથ પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું હતું. બુથમાં તૈનાત બીએસએફના જવાનોએ ખોટા આક્ષેપો કર્યા હતા.

    ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, નંદીગ્રામના મતદાન મથકો ઉપર સવારે 5.30 વાગ્યે એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી અને સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. આયોગે એમ પણ કહ્યું હતું કે આ મોકડ્રીલ દરમિયાન તમામ રાજકીય પક્ષોના મતદાન એજન્ટો હાજર હતા. ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીમાં કોઈ અવરોધ ઉભો થયો  નથી તે સાબિત કરવા માટે સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે  કે બંગાળમાં બીજા તબક્કાના મતદાન 1 એપ્રિલે યોજાયું હતું. મતદાન દરમિયાન મમતા બેનરજીએ   બાયલ -2 ના સાત નંબરના બૂથ પર લગભગ બે કલાક રોકાઈ હતી અને ત્યાંથી તેણે રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો અને મતદાનમાં ધાંધલ ધમાલ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ ચૂંટણીના કામમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં સીએમ મમતા બેનર્જીએ  આ સંદર્ભે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે,વેસ્ટ બંગાળ વિધાનસભાની મુદત 30 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. 17 મી વિધાનસભાની ચૂંટણી માટે 7,34,07,832 મતદાતા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી કુલ આઠ તબક્કામાં યોજાશે. બે તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ત્રીજા તબક્કામાં ૩૧ બેઠકો માટે ૬ એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.જયારે ચોથા તબક્કામાં 44 બેઠકો માટે 10 એપ્રિલના રોજ , પાંચમા તબક્કામાં 45 બેઠકો માટે 17 એપ્રિલના રોજ, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો 22 એપ્રિલના રોજ, સાતમા તબક્કામાં 36 બેઠકો 26 એપ્રિલના રોજ અને 29 મી એપ્રિલના રોજ આઠમા અને અંતિમ તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ પાંચ રાજ્યોના એક સાથે 2 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

 

 

Download Our B K News Today App



Related News