દરિયામાં લો પ્રેશર સર્જાયું : રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદની શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 12:19:09
  • Views : 349
  • Modified Date : 2022-07-05 12:19:09

દરિયામાં લો પ્રેશર સર્જાયું : રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 5થી 8 ઇંચ વરસાદની શક્યતા

ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં 5થી 10 જુલાઇ દરમિયાન 5થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે.

ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, "આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારોએવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

24 કલાકમાં 156 તાલુકામાં વરસાદ ખાબક્યો
ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ કચ્છમાં સીઝનનો કુલ 12.58 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો કુલ 10.86 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સીઝનનો કુલ 10.54 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 18.85 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 21.03 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા અને સરેરાશ 139.73 એમ.એમ. વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 156 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં સોમવારે 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડાત્રણ ઈંચ ખાબક્યો હતો. દિવસ દરમિયાન વલસાડના પારડીમાં 3.26, ઉમરગામમાં 2.71, વાપીમાં 2.20, અમરેલીના સાવરકુંડલામાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખાંભામાં બપોરે 2 થી 4માં બે ઈંચ, પારડીમાં સાંજે 4 થી 6માં દોઢ ઈંચ, ઉમરગામમાં 1.75 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જ્યાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો એમાં જૂનાગઢના વિસાવદર, સુરતના પલસાણા-સુરત શહેર, અમરેલીના ધારી-વડિયા, નવસારીના ખેરગામનો સમાવેશ થાય છે.

ગુજરાતના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછો જળસ્તર
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ સુધી ચોમાસું જામ્યું નથી અને જેને પગલે અનેક જળાશયોમાં જળસ્તર સતત ઘટી રહ્યા છે. રાજ્યનાં 83 જળાશયમાં 10 ટકાથી ઓછો જળસ્તર છે, જ્યારે 10 જળાશયો ખાલીખમ છે. 207 જળાશયમાં ચોથી જુલાઇની સ્થિતિએ માત્ર 37.15 ટકા જળસ્તર છે. બીજી તરફ સરદાર સરોવરમાં હાલ જળસ્તર 43.29 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 12.42 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 30.57 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 42.27 ટકા, કચ્છનાં 20 જળાશયમાં 18.21 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 24.41 ટકા જળસ્તર છે. રાજ્યના જળાશયોમાંથી ભાવનગરનો બાઘડ એકમાત્ર તેની ક્ષમતાના 100 ટકા ભરાયો છે. આ સિવાય 203 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી પણ ઓછું છે.

 

Download Our B K News Today App



Related News