કિરણ બેદીને ઉપરાજ્યપાલ પદ પરથી હટાવાયા, 4 ધારાસભ્યોના રાજીનામાથી નારાયણસામી સરકાર અલ્પમતમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:08:14
  • Views : 349
  • Modified Date : 2021-02-17 12:08:14

    પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટી રાજકીય ઊલટફેરના સંકેત મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે ત્યાંના ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધા છે. જે બાદ હાલ તેલંગણાના ગવર્નર ડૉ. તિમિલીસાઈ સુંદરરાજનને પુડ્ડુચેરીના રાજ્યપાલનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ પહેલાં સોમવાર અને મંગળવારે 2 મંત્રી સહિત 4 ધારાસભ્યોએ વી. નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.આ રાજીનામા પછી રાજ્યની કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 15થી ઘટીને 10 થઈ ગઈ છે. જોકે કોંગ્રેસ ગઠબંધનની વાત કરીએ તો વિધાનસભામાં સરકાર અને વિપક્ષી દળોના ધારાસભ્યોની સંખ્યા 14-14 થઈ ગઈ છે. પુડ્ડુચેરી વિધાનસભામાં કુલ 33 સીટ છે, જેમાં 30 પર ચૂંટણી થાય છે, જ્યારે 3 સીટ પર ધારાસભ્યની પસંદગી કરવામાં આવે છે.

    રાજીનામું આપનારા ધારાસભ્યોમાંથી 2 ભાજપમાં સામેલ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પુડ્ડુચેરીની મુલાકાતે જવાના છે, એ પહેલાં જ આ ઘટનાક્રમ થયો છે. સરકારમાંથી 4 ધારાસભ્યો અલગ થયા બાદ વિપક્ષી દળોએ ફ્લોર ટેસ્ટની માગ કરતાં વી. નારાયણસામીના રાજીનામાની માગ કરી છે. રાજ્યમાં આ વર્ષે મે માસમાં જ ચૂંટણી થવાની છે.

    મંગળવારે રાજીનામું આપનારા એ. જોન કુમારને મુખ્યમંત્રી વી. નારાયણસામીના નજીકના માનવામાં આવતા હતા. તેમણે નેલ્લીથોપ સીટથી 2016ની વિધાનસભા ચૂંટણી જીતી હતી અને નારાયણસામી માટે સીટ ખાલી કરી દીધી હતી. કુમારે બાદમાં 2019માં કામરાજ નગર પેટાચૂંટણી જીતી હતી. હાલમાં જ તેઓ દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે મીટિંગ કરીને પરત ફર્યા હતા. તેમનું રાજીનામું આ મુલાકાત સાથે જ જોડવામાં આવે છે.

    રાજીનામું આપનારાઓમાં ધારાસભ્ય એ. જોન કુમાર, એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન સામેલ છે. એ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય એન ધનવેલુને પાર્ટી વિરોધ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. એમાં નમસ્સિવમ અને થેપયન્થન ભાજપમાં સામેલ થઈ ગયા છે, બાકીના નેતા પણ ટૂંક સમયમાં જ BJPમાં જઈ શકે છે.પુડ્ડુચેરીમાં 2016માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. કોંગ્રેસને 15 સીટ મળી હતી. હાલ ત્યાં નારાયણસામી મુખ્યમંત્રી છે. કોંગ્રેસ ઉપરાંત AINRCને 8, AIADMKને 4, DMKને 2 સીટ મળી હતી. એક અપક્ષ કેન્ડિડેટ જીત્યો હતો. અહીં ભાજપના 3 નોમિનેટેડ ધારાસભ્યો છે. સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે.


Download Our B K News Today App



Related News