જસ્ટિસ પૂંજની નાદૂરસ્ત તબિયત, શ્રેય હોસ્પિટલની સ્થળ તપાસ મુલત્વી રાખી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 14:31:12
  • Views : 282
  • Modified Date : 2020-12-07 14:31:12

    નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ઓગસ્ટ માસમાં આગ લાગતા 8 દર્દીઓ ભડથું થઈ ગયા હતા.શ્રેય હોસ્પિટલમાં આજે જસ્ટિસ પૂંજની અધ્યક્ષતાવાળી કમિટી સ્થળ તપાસ કરવાની હતી. જોકે જસ્ટિસ કે એ પૂંજની નાદુરસ્ત તબિયતના કારણે આજે સ્થળ મુલાકાત મુલત્વી રાખવામાં આવી હતી.શ્રેય હોસ્પિટલમાં મધરાત્રિએ લાગેલી આગમાં જે 8 લોકોએ જીવ ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. તમામના જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો હતો. આમ છતાં તેમના સ્વજનોને તો છેવટે મૃતદેહ પણ જોવા ન મળી શક્યો. ઓળખવામાં પણ તકલીફ પડે તે હદે ભડથું થઈ ગયેલા મૃતદેહોનું સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે કાર્બન મોનોક્સાઈડ શ્વાસમાં જવાને લીધે આ તમામના મૃત્યુ થયા હતા.


    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટના બાબતે રચેલી કમિટીએ પોતાનો તપાસ અહેવાલ તૈયાર કરીને ગુજરાત સરકારને સોંપ્યો હતો. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવોએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો હતો. કમિટીએ એ વાતની નોંધ કરી હતી કે હોસ્પિટલમાં આગ નિયંત્રણના સાધનો સાબૂત, ચાલુ અને પૂરતાં પ્રમાણમાં હતા, પણ સ્ટાફ પાસે તેના ઉપયોગની તાલીમ ન હતી. આ ઉપરાંત મોડી રાત્રે લગભગ તમામ લોકો સૂઇ રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી અને ખૂબ ઝડપથી પ્રસરી ગઇ. વોર્ડમાં એક દરવાજો હતો તેથી બહાર નિકળવામાં મુશ્કેલી થઇ હતી.

    ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂંજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરાઈ હતી. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી છે. આ તપાસપંચનું હેડક્વાર્ટર અમદાવાદ છે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો હતો. જોકે, તપાસ પંચની મુદ્દતામાં સરકારે 6 માસનો વધારો કર્યો હતો.ચાર દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલ ખાતે ગત આઠમી ઓગષ્ટના રોજ લાગેલી આગની ઘટનાની તપાસની કાર્યવાહી ચાલુ હોઇ, તપાસ પંચની મુદતમાં પણ છ મહિનાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઝીણવટભરી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ કે. એ. પૂંજના અધ્યક્ષ પદે તપાસ પંચની રચના કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે IPC કલમ 304A, 336, 337, 338 અંતર્ગત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે.આગની ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News