મસૂદ બાદ હાફિઝ સઈદ અને દાઉદનો વારો : ઈમરાન સામે વધતા પડકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 12:22:44
  • Views : 629
  • Modified Date : 2019-05-05 12:22:44

અંતે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો. આમાં દિલ્હીના સાતત્યપૂર્ણ રાજદ્વારી પ્રયાસો સહિતના ઘણાં આંતરરાષ્ટ્રીય પરિબળો કારણરૂપ છે. અલબત્ત, આતંકવાદને મામલે વિશ્વને એક વિચારધારાએ સાંકળવાના પ્રયાસોમાં ભારતને સફળતા મળી અચૂક કહેવાય. મસૂદ અઝહર બાદ હાફિઝ સઈદ ઉર્ફે લખી ઉર રહમાન અને દાઉદ ઈબ્રાહિમ કાસકરને પણ પાકિસ્તાને આશ્રય આપ્યો છે. એનોય હવે ફેંસલો લાવવાનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પ્રક્રિયા વખતે મસૂદ અઝહરને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ ઘોષિત કરવાનો ટાઈમિંગ ખરેખર રસપ્રદ ગણાય, પછી ભલે એ યોગાનુયોગ કેમ ન હોય. સ્વાભાવિકપણે ભાજપ આનો જશ ખાટવા માગે છે. અરુણ જેટલી બોલ્યા ય ખરા કે રાજકીય કિંમત ચુકવવાને ડરે વિપક્ષો કેન્દ્ર સરકારની આ સફળતાને ઉજવવામાં અચકાય છે. સામે પક્ષે કાંગ્રેસનો દાવો છે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરાવવાની પ્રક્રિયા તો અમે વરસો અગાઉ જ શરૂ કરાવી હતી હો. ભાજપ ભલે બેય હાથે જશના લાડવા ખાઈ જવા તત્પર હોય પણ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના આ નિર્ણયમાં અમેરિકા અને ચીને ચાવીરૂપ ભૂમિકા ભજવી છે એ ન ભૂલાય. મસૂદને જાગતિક આતંકવાદી જાહેર કરતી જાહેરાતમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ ટાળવામાં કેમ આવ્યો? અમેરિકા પોતાના હિત ખાતર ચીન પર દબાણ લાવ્યું છે. એક સમયે અંકલ સેમ જ પાકિસ્તાનને મોટા પ્રમાણમાં શસ્ત્રો આપતું હતું. આજેય એશિયા ખંડમાં ચીન સર્વોપરી ન થઈ જાય એ અમેરિકા માટે જરૂરી ગણાય. એક સમયના રશિયાના જિગરી દોસ્ત ગણાતા ભારત પર અચાનક પ્રેમ ઉભરાવા પાછળ વાશિંગ્ટનનો સ્વાર્થ-ભાવ સવિશેષ છે. અમેરિકા જગત જમાદાર છે એ ફરી સાબિત થયું. આમાં પાકિસ્તાનની સ્થિતિ કફોડી થશે. આર્થિક કટોકટીનો સામનો કરવામાં બેવડ વળી ગયેલા ઈમરાન ખાને હવે જગતના મંચ પર પોતાની નિષ્ઠા સાબિત કરવી પડશે. જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહરની સ્થાયી-અસ્થાયી મિલકત, બૅંક અકાઉન્ટ, આૅફિસ પર જપ્તિ લાવવી પડશે. આ માટે અગાઉ કરાતા નાટક હવે કામ નહિ આવે. ગમે તે ઘડીએ મસૂદ સામે સાચી અને સખત કારવાઈ કરવી પડશે. મસૂદ સામે શું અને કેટલું કરવું એ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણમાં સ્પષ્ટ કરાયું છે. પરંતુ રૂઢિચુસ્ત મુસ્લિમ સંગઠનો, આતંકવાદીઓ, લશ્કર અને આઈ.એસ.આઈ. સાવ ચૂપચાપ બેસી રહેશે? ઈમરાન ખાને ચોક્કસપણે આ બધાના વિરોધનો ભારે સામનો કરવો પડશે. આમાં વડા પ્રધાન ઈમરાનની વિકેટ પડી જાય તો પણ નવાઈ નહિ. અત્યાર સુધી પાકિસ્તાને પાળેલા ઝેરી સાપ હવે તેને ભારે પડ્‌યા વિના નહિ રહે. ઈમરાન ખાને ખરેખર શ્રેષ્ઠ આૅલ રાઉન્ડર જેવું પર્ફોર્મન્સ કરવું પડશે. હવે તેણે ભારત કરતાં પોતાના દેશની અંદરની ઘણી ટીમ સામે રમવાનું છે અને જીતવાનું છે, આ બધું જરાય આસાન નથી. પાકિસ્તાનના રાજકારણ પર લશ્કર અને આઈ.એસ.આઈ.ની નાગચૂડ જોતા આગામી દિવસો નાટ્યાત્મક ન બને તો જ નવાઈ.નવી દિલ્હીએ આ સફળતાથી પોરસાઈને બેસી રહેવાને બદલે અન્ય આતંકવાદીઓને ભીંસમાં લેવાનું ચાલુ રાખવું પડશે. મેના અંતે કેન્દ્રમાં જે કોઈ સરકાર આવે, તેણે આ દિશામાં આગળ વધવાનું રહેશે. સદ્ભાગ્યે ભારતમાં બેલેટથી સરકાર બદલાય પણ પાકિસ્તાનમાં બુલેટની બોલબાલા વધુ છે.આવા માહોલમાં ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જમ્મુ-કાશ્મીર સહિતના વણઉકલ્યા મુદ્દા ઉકેલવા માટે વાટાઘાટ ફરી શરૂ કરવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં આતંકવાદને ધંધામાં ફેરવી નાખનારા અને શસ્ત્રોના વેપારમાં મોટી મલાઈ ખાનારાં પરિબળોને ભારત-પાકિસ્તાનમાં શાંતિ આંખમાં કણાની જેમ ખૂંચવાની. પોતાનો ગરાસ લૂંટાઈ જતો બચાવવા તેઓ ગમે તે હદે જઈ શકવાના, જવાના જ.હવે મસૂદ અઝહરનું શું થાય છે એ જોવા કરતા ઈમરાન ખાન શું કરે છે એ જોવાનું વધુ રોમાંચક બની રહેશે. ટી-ટવેન્ટીની ભાષામાં કહેવાય કે ઈમરાન માટે છેલ્લી બે ઓવર શરૂ થવામાં છે. એની નાનકડી અને હાલકડોલક થતી રાજકીય કારકિર્દીમાં આવેલો આ સૌથી મોટો પડકાર છે. ઓવર ટુ ઈમરાન ખાન.


Download Our B K News Today App



Related News