વાસંદામાં ગુજરાતનું વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર બનાવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 17:41:01
  • Views : 71
  • Modified Date : 2024-03-07 17:41:01

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલની પ્રેરક ઉપસ્થિતમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.દક્ષિણ ગુજરાતમાં માંસાહારી પ્રાણીની ઉચ્ચ શ્રેણીની વન્યપ્રાણી પ્રજાતિમાં દિપડાઓ ખાસ કરીને જોવા મળે છે. હાલમાં તેમની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે.દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. દિપડાઓની સંખ્યામાં વધારો થવાથી માનવજાત સાથે ઘર્ષણના બનાવો પણ ક્યારેક બને છે. જેના કારણે માનવ અને દિપડાને પણ ઇજા થાય છે. ક્યારેક આવા વન્ય પ્રાણી કુવામાં પડી જાય, રસ્તામાં અકસ્માત થાય, ત્યારે ધાયલ થતા હોય છે. આવા વન્ય જીવો માનવવસ્તીમાં આવી ચડે ત્યારે તેને બચાવની કામગીરી પણ વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવે છે.દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક-નવતાડ ખાતે રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલા મેટીગેશન પ્લાન મુજબ વન્ય પ્રાણીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી 'વન્યજીવ ટ્રીટમેન્ટ સેન્ટર' કાર્યરત કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં વન વિસ્તાર વધારે પ્રમાણમાં છે. અહીંના વિભાગ હેઠળનો વન વિસ્તાર પણ મોટો છે. જેમાં વન્ય પ્રાણી પણ વધારે જોવા મળે છે, અને જયારે તેમને કોઇ અકસ્માત નડે અથવા માનવ ધર્ષણ થાય, કે અન્ય રીતે ઇજા થયેથી તાત્કાલિક રેસ્ક્યુ કરવામા, અને તાત્કાલિક સારવાર આપવામાં આ સેન્ટર મદદરૂપ થશે.વન્ય પ્રાણીઓને યોગ્ય સારવાર આપ્યા બાદ સંપુર્ણ સ્વસ્થ થયેથી, તેમને ફરીવાર જંગલમાં મુક્ત કરવામાં આવશે. સાથે સાથે ભવિષ્યમાં સંપૂર્ણ આધુનિક સાધનો યુકત અને સંપૂર્ણ સુવિધાવાળુ કેમ્પસ તૈયાર કરી કાર્યરત કરવાની યોજના પણ વિચારાધિન છે જેમાં ફસ્ટ એઇડ કિટ, મોટો સ્ટોર રૂમ, સારવાર અંગેનો અલયાદો રૂમ રાખી વિવિધ પાંજરાઓની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. જેના કારણે વન્ય પ્રાણીને સંપુર્ણ સારવાર મળી રહેશે. આમ, વન્યપ્રાણીઓનું જતન થશે અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન સંવર્ધન કરી શકાશે. 

Download Our B K News Today App



Related News