વિવેકાનંદ કોલેજને ડી-સીલ કરતાં પૂર્વે ફાયર સેફ્ટી ચકાસણીનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-23 16:43:23
  • Views : 63
  • Modified Date : 2025-12-23 16:43:23

ફાયર NOCના અભાવે અમદાવાદ મ્યુ. કોર્પો.એ શૈક્ષણિક સંસ્થાને સીલ કરતાં મામલો હાઇકોર્ટમાં

અમદાવાદ 

ફાયર NOCના મામલે રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવતાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે આ શૈક્ષણિક સંસ્થાને ડી-સીલ કરતા પહેલા ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે. હાઇકોર્ટે છઠ્ઠી જાન્યુઆરીના રોજ આ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કોર્પોરેશનને આપ્યો છે. 

હાઇકોર્ટે આદેશ કરતાં એમ પણ નોંધ્યું હતું કે  22મી ડિસેમ્બરના રોજ કોલેજના વહીવટી સ્ટાફના 12 થી વધુ વ્યક્તિઓને સીલ ખોલીને ઇમારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ કોર્પોરેશન માટે 12.12.2025 ના આદેશ મુજબ પગલાં લેવાની છૂટ રહેશે. વિદ્યાર્થીઓની યુનિવર્સિટી પરીક્ષાના સંદર્ભમાં ઉક્ત નિર્દેશ હાઇકોર્ટે આપ્યા છે. 

વિવેકાનંદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં અરજદાર કોલેજના સંકુલને સીલ કરવાના આદેશ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કર્યો હતો, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્પોરેશને આ કાર્યવાહી એ કારણોસર કરી હતી કે કોલેજ પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી અને ફાયર સેફ્ટીનો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’(NOC) નહોતી. 

અરજદારે અગાઉ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં અધિકારીઓને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. હાલની અરજીમાં નોટિસ જારી કરતા હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, કોર્ટનો અભિપ્રાય છે કે 12મી ડિસેમ્બરના આદેશને પડકારતા સીલ ખોલવા અંગેની અરજી કરવામાં આવી છે. અરજદાર પાસે 27.05.2024ના રોજનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે. પ્રથમ દૃષ્ટિએ, ૨૦૨૪ના અગાઉની સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન વાંચીને એવું જણાય છે કે અરજદાર ફાયર સેફ્ટી ઓથોરિટીને ૨૭.૦૫.૨૦૨૪ ના રોજનું સર્ટિફિકેટ અપલોડ કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરી હતી. આ તબક્કે પ્રતિવાદીઓએ ૨૭.૦૫.૨૦૨૪ના રોજના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની પ્રામાણિકતા પર શંકા કરી નથી. જો કે કોર્પોરેશન વતી કરવામાં આવેલી રજૂઆતો દર્શાવે છે કે ઉપરોક્ત પ્રમાણપત્ર પરત ખેંચી લેવામાં આવ્યું હતું અથવા તો રદ કરવામાં આવ્યું હતું. તે સંદર્ભમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું પાલન કરવાની બાંયધરી અરજદાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.આ કેસમાં પરિસ્થિતિની નોંધ લેતા અને ભારે ભીડભાડવાળા વિસ્તારમાં કોઈપણ ઇમારતને કોઈપણ અગ્નિ સલામતી ઉપકરણો વિના વાપરવાની મંજૂરી નથી તેને ધ્યાનમાં લેતાં આદેશ કરવામાં આવ્યો હતો કે,‘27.05.2024 ના રોજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂઅલ (FSCR)ને ધ્યાનમાં લેતા અરજદારને 22મી ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં ગ્રાઉન્ડ, પહેલા અને બીજા માળ માટે વિવાદિત ઇમારતમાં ફાયર સેફ્ટીની આવશ્યકતાઓનું નિરીક્ષણ કરવા માટે નવી અરજી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. એકવાર આવી અરજી કરવામાં આવે ત્યારે તેને અને વિદ્યાર્થીઓની આગામી પરીક્ષાને ધ્યાનમાં લેતાં ચીફ ફાયર ઓફિસર અમદાવાદે અરજી મળ્યાની તારીખથી એક અઠવાડિયામાં ઇમારતનું નિરીક્ષણ કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News