બાપ રે! રાજકોટમાં 500થી વધુ મકાનો જર્જરિત હાલતમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 15:21:51
  • Views : 99
  • Modified Date : 2023-06-26 15:21:51

અમદાવાદ બાદ જામનગરમાં પણ જર્જરિત મકાન ધરાશાઇ થયું બન્ને બનાવમાં કુલ ચાર લોકોના મોત થયા. દર વખતે ચોમાસુ આવે એટલે દરેક શહેરમાં આવા જર્જરિત મકાનોને કોર્પોરેશન નોટિસ આપી સંતોષ માની લે છે, અન્ય કોઈ કાર્યવાહી કરતી નથી. રાજકોટની વાત કરી એ તો રાજકોટ શહેરમાં આવા 500થી વધુ મકાનો છે, જે મોતના માચડાની જેમ લટકી રહ્યા છે. જામનગર દુર્ઘટના બાદ રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં 533 જર્જરિત મિલકત અંગે સર્વે કરવામાં આવ્યો છે. રાજકોટ મનપામાં જર્જરિત મકાન મામલે મહત્વની બેઠક મળવાની છે. જેમાં અગાઉ આપેલ નોટિસ બાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજકોટમાં ક્યાં ઝોનમાં કેટલા જર્જરિત મકાન છે તેની વાત કરીએ તો સેન્ટરઝોનમાં 268, વેસ્ટઝોનમાં 230 અને ઇસ્ટઝોનમાં 35. અમુક ત્રણ માળીયા ક્વોટર સિવાય જૂના રાજકોટમાં લટાર મારો તો અનેક સ્થળે મોતના માચડા સમાન મકાનો આંખે ઉડીને વળગે છે. દિવાનપરા, સોની બજાર, હાથી ખાના, રામનાથ પરા, આનંદ નગર કોલોની આવા વિસ્તારમાં જર્જરિત મકાનો છે તેવું મનપાના ચોપડે બોલાઈ રહ્યું છે. છતાં કાર્યવાહી કરવામાં કોની રાહ જોવાઇ રહી છે જે એક મોટો સવાલ છે. ચોમાસા એ જ્યારે દસ્તક દઈ દીધી છે ભારે વરસાદ આવે ત્યારે આવા મકાનો એકદમ જોખમી બની જતા હોય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જાણે કોઈ દુર્ઘટના થાય પછી જ એક્શન મોડમાં આવે તો શું કામનું? તેવું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે. જામનગર જેવા અનેક ક્વાર્ટર પણ છે જેની હાલત અતિશય ખરાબ છે. રાજકોટમાં પણ અનેક વિસ્તારોમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસો છે જેમાં લોકો રહેવા મજબૂર છે, કારણ કે સરકાર કે તંત્ર તરફથી આવાસને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વૈકલ્પિક વ્યવસ્થા વગર આવાસ કઈ રીતે કોઈ મુકી શકેઃ સ્થાનિક મહિલાગોકુલધામ હાઉસિંગ બોર્ડની મહિલાઓએ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. રોષે ભરાયેલ મહિલાઓ જણાવ્યું કે, મહાનગરપાલિકા જર્જરિત આવાસને લઈને નોટિસ તો પાઠવે છે પણ શું તંત્રને ખબર નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર આવાસ કઈ રીતે કોઈ મુકી શકે. તંત્ર ગોકુલધામ આવાસ માટે કોઈ નક્કર યોજના લાવે તો જર્જરિત આવાસનું રી-ડેવલોપમેન્ટ થઇ શકે. રાજકોટ મહાનગરપાલિકા અમારી પાસેથી ટેક્સ લે છે, છતાં ગોકુલધામ આવાસ વિસ્તારમાં કોઈ કામગીરી નથી કરતી, જેને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ સ્થિતિ યથાવત છે. મહિલાઓએ જણાવ્યું કે, જર્જરિત આવાસના કારણે અમને રોજ ભયનો સામનો કરવો પડે છે. આવાસના અંદરના પોપડા ખરવાથી અનેક વખત અનેક લોકોને સામાન્યથી ગંભીર ઈજા પહોંચી છે, પણ અહીં રહેનારા પરિવારો મજબૂરીના કારણે અહીં રહી રહ્યા છે. તેમાં પણ સરકાર કે તંત્ર કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જર્જરિત આવાસો ખાલી કરવાની સૂચનાઓ આપે છે જે યોગ્ય નથી.રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલે આ મુદ્દે જણાવ્યું કે, રાજકોટ શહેરમાં 500થી વધુ આવાસ - મકાનો જર્જરિત છે, મહાનગરપાલિકાએ તમામ પ્રકારની તકેદારી રાખી આવા આવાસોને દૂર કરવા સૂચના અપાઈ છે. વોર્ડ ઓફિસર ને ઇમરાતો આઇડેન્ટિફાઈ કરવા સૂચન કરવામાં આવ્યું છે. અતિ જર્જરિત ઇમરાતોમાં રહેતા લોકોને કાયદાકીય નોટિસ ઇસ્યુ કરી ખાલી કરવાની કામગીરી કરવા સૂચના અપાઈ છે. અમે એક બેઠક બોલાવી હતી, જેમાં તમામ ડેટા મેળવ્યો હતો. જર્જરિત આવાસ અને મકાન એક ગંભીર બાબત છે. આ મામલે અમને ડેટા મળ્યો છે હવે અનેકને નોટિસ પણ આપી છે અને ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવશે. આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

Download Our B K News Today App



Related News