કોરોના સમયે સરકારી હોસ્પિટલમાં 1 લાખથી વધુ પગારની ઓફર કરવા છતાં ડોક્ટરો ન આવ્યા, આયુર્વેદિક ડૉક્ટરમાં પણ આવી જ સ્થિતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:38:03
  • Views : 252
  • Modified Date : 2021-03-11 10:38:03

    ગુજરાત વિધાનસભામાં આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરી વિધાનસભાગૃહમાં ચર્ચા થઈ હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોસ્પિટલોમાં ડોક્ટરોની કથળતી જતી સેવાઓ અને ભરતી અંગે અનેક પ્રશ્નો સરકાર તરફથી કર્યા હતા. જોકે આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસના સભ્યોએ ઊભા કરેલા પ્રશ્નોના વિગતે ઉત્તર આપતાં જણાવ્યું હતું કે કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ સમયે 1 લાખથી વધુનો પગાર આપવા છતાંય સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા ડોક્ટરો આવતા ન હતા અને તેવી જ સ્થિતિ આયુર્વેદિક ડોક્ટરોમાં પણ જોવા મળી હોવાનો સ્વીકાર નીતિન પટેલે કર્યો હતો.

    આ તબક્કે તેમણે વિધાનસભાગૃહની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વધુ મેડિકલ કોલેજ સ્થાપીને ડોક્ટરોની અછત ઉતારવા માટે કટિબદ્ધ બની છે અને એના ભાગરૂપે આજે ગુજરાતમાં મોટા પ્રમાણમાં મેડિકલ કોલેજો બનાવી દીધી છે અને પાંચ હજારથી વધુ મેડિકલ સીટ્સ થઈ ગઈ છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં ડોક્ટરોની અછત નહીં સર્જાય એવો દાવો નીતિનભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો.

    રાજ્યમાં સરકાર ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો તેમની પ્રેક્ટિસની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ભણાવે અને ગંભીર રોગોની સારવાર કરી શકે એ માટે વિશેષ પોલિસી અમલમાં લાવશે એટલું જ નહીં, કોરોનાના કપરા કાળમાં ડોકટરોની અછત સામે પૂરતા ડોકટર સરકાર પાસે ઉપલબ્ધ નહિ હોવાનો સ્વીકાર આરોગ્યમંત્રીએ ગૃહમાં કર્યો છે.

    હાલમાં પાંચથી સાત સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો ભેગા થઇને તેમની હોસ્પિટલ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેને કારણે સરકારી હોસ્પિટલમાં કોઈપણ ફેકલ્ટીમાં ડોક્ટરો મળતા નથી. કોરોના મહામારી દરમિયાન પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરોને 85 હજારથી સવા લાખ રૂપિયા સુધીનો પગાર ઓફર કરાયો હતો છતાં તેઓ આવવા તૈયાર ન હતા. આયુષ ડોક્ટરો પણ પૂરતી સંખ્યામાં મળ્યા ન હતા. હવે રાજ્યમાં મેડિકલની બેઠકો વધી હોવાથી આવનારા સમયમાં વધુ ડોક્ટરો પ્રાપ્ત થશે. આ ઉપરાંત ખ્યાતનામ પ્રાઇવેટ ડોક્ટરો તેમની પ્રેક્ટિસ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આવીને દર્દીઓની સારવાર કરે અને મેડિકલ સ્ટુડન્ટને અભ્યાસ કરાવે એવી પોલિસી અમે બનાવી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની અછત દૂર થઇ શકશે.

    વિધાનસભા ખાતે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં કોરોના મહામારી અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ અન્ય દર્દીઓમાં ન ફેલાઇ એ માટે આવી ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે, જેમાં આઈસોલેશન બેડ, આઈસોલેશન તેમજ HDU અને આઈસોલેશન તેમજ ICU વેન્ટિલેટર સહિતની સારવાર આવી હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવે છે.


Download Our B K News Today App



Related News