સ્મશાનોની ચીમની ગરમીથી પીગળી ગઈ; ત્રણેય સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે લાઇનો લાગતાં ચિતાની ગ્રિલ પણ ઓગળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-13 11:15:34
  • Views : 549
  • Modified Date : 2021-04-13 11:15:34

    સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.

    સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ કરવા મજબૂર બન્યા છે. સુરતની આવી ભયાનક સ્થિતિને કારણે શહેરમાં 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.


    સુરત મહાનગરપાલિકાના એક અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું હતું કે 24 કલાકમાં ટ્રસ્ટી અને સેવાભાવી લોકોએ સ્મશાન શરૂ કરી માનવતાનું ઉદાહરણ બની ગયા છે. પાલના આ સ્મશાનમાં માત્ર કોવિડના મૃતકોની અંતિમવિધિ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે 15 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી અને એકસાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.સુરતની આવી સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્ર પાલ ખાતેની 2006થી બંધ પડેલી સ્મશાનભૂમિને ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પાલિકાના માજી કોર્પોરેટર અને સ્મશાનના ટ્રસ્ટી પી.એમ. પટેલ, અડાજણના માજી કોર્પોરેટર પી. એમ. પટેલ તથા હાલના કોર્પોરેટર નિલેશ પટેલ અને ભાજપના માજી પ્રમુખ નીતિન ભજિયાંવાલાએ તાત્કાલિક બંધ થયેલી સ્મશાનભૂમિ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

    સુરતમાં છેલ્લાં 14 વર્ષથી પાલ એક્વેરિયમની પાછળના ભાગે તાપી નદીના કિનારે આવેલી કૈલાસ મોક્ષધામને શરૂ કરવામાં આવ્યું હતું અને અહીં 50થી વધુ કોવિડના મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવશે. સુરતમાં ત્રણ સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે ટોકન આપવા છતાં મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને વેઈટિંગ છે, જેના કારણે સુરતની 14 વર્ષથી બંધ પડેલી સ્મશાનભૂમિને શરૂ કરી એમાં અંતિમસંસ્કાર પણ શરૂ કરવામાં આવ્યા એ જ સુરતની ભયાનકતાનો ચિતાર આપે છે.


Download Our B K News Today App



Related News