સરકારના આગોતરા આયોજનના અભાવે કોરોના સંક્રમિત દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા - અર્જુન મોઢવાડિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-11 11:44:47
  • Views : 237
  • Modified Date : 2021-05-11 11:44:47

     પાટણ ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ વોર્ડમાં આશરે 200થી વધુ સંક્રમિક દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જેમાં બાઇપેપ અને વેન્ટીલેટરવાળા દર્દીઓને આજે પણ સારવાર પુરતા પ્રમાણમાં મળતી નથી. તેમજ હોસ્પિટલમાં કેટલીક આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ હોઈ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાની આગેવાની હેઠળ જીલ્લાના ધારાસભ્યો કીરીટ પટેલ, ચંદનજી ઠાકોર, જીલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર સહિત અન્ય આગેવાનો કાર્યકરોએ ધારપુર હોસ્પિટલનાં કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી.

      મુલાકાત દરમ્યાન અર્જુન મોઢવાડીયાએ દર્દીઓના ખબર અંતર પૂછી તેઓ ઝડપથી સાજા થાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. ઉપરાંત તેઓએ હોસ્પિટલનાં ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તો મુલાકાત દરમ્યાન ધારપુર હોસ્પિટલનાં ડીન સહિત અન્ય અધિકારીઓ સાથે આરોગ્યલક્ષી સુવિધા બાબતે વિચાર વિમર્શ કરી માહિતી મેળવી હતી.

      મુલાકાત બાદ તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજનના અભાવે સંક્રમિત દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. બાયપેપ અને વેન્ટીલેટરની પણ પુરતી સુવિધા હોસ્પિટલોમાં પુરી પાડવામાં આવતી નથી. વધુમાં તેઓએ તબીબોની માંગણીઓને યોગ્ય ગણાવી હતી. અને સરકાર તેમની માંગણીઓ સ્વીકારે તેવો મત વ્યકત કર્યો હતો. ઉપરાંત હોસ્પિટલમાં દવાઓનો જથ્થો સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં પુરો પાડવામાં આવે કે જેથી દર્દીઓને સમયસર આરોગ્યની સેવા અને મેડિસીન મળી રહે તેવી આશા વ્યકત કરી હતી.

Download Our B K News Today App



Related News