કાંકરેજ તાલુકાના કાકર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 10:43:09
  • Views : 194
  • Modified Date : 2022-05-19 10:43:09

કાંકરેજ તાલુકાના કાકર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલે કાકરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવતીકાલ તા. ૨૦ મે-૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે રાજ્ય સરકારશ્રી અને વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી કાયમી સરનામું મળશે. મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

          બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે કાકર વાદીપૂરા વસાહતની મુલાકાત લઇ જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કાર્યક્રમને લગતી સુચનાઓ આપતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, વિચરતી જાતિના લાભાર્થીઓ સરકારશ્રીની એકપણ યોજનાથી વંચિત ન રહે તે માટે તમામ ખાતાના અધિકારીઓ પોતાના વિભાગની યોજનાઓ તેમના સુધી સરળતાથી પહોંચાડે. તેમણે કહ્યું કે, ઇ- શ્રમ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજના, આવક- જાતિના દાખલા, રેશનકાર્ડ જેવા તમામ દસ્તાવેજો તેમને સુલભ રીતે પ્રાપ્ત થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

         કલેકટરશ્રીની મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખ, પ્રાંત અધિકારીશ્રી દેસાઇ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News