સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોનાથી બેકારી, પેટ્રોલ-ડીઝલના બેકાબૂ ભાવ અને ખેડૂત આંદોલન જેવા અસરકારક મુદ્દાથી ભાજપની અકળામણ વધી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 12:11:28
  • Views : 247
  • Modified Date : 2021-02-16 12:11:28

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોના સંક્રમણને કારણે બેકારીની સૌથી મોટી સમસ્યાની સાથે પેટ્રોલ અને ડીઝલના બેકાબૂ ભાવ અને ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂતોને સહાનુભૂતિ જેવા મુદ્દાઓ ભાજપ માટે કપરા બની રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે આ ત્રણ અસરકારક એવા મુદ્દા છે, જેને કારણે ભાજપને બેકફૂટ પર રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આ ત્રણેય મુદ્દા વર્તમાન પરિસ્થિતિમાં એકબીજા સાથે જોડાયેલા છે. ખેડૂતોની સમસ્યા, મોંઘવારી અને બેકારી આ ત્રણેય મુદ્દા સામે ભાજપના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી શકતા નથી, ખાસ કરીને જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આ મુદ્દા ઘણા બધા સીધા અસર કરી રહ્યા છે.

    કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં જે કિસાન આંદોલન ચાલી રહ્યું છે એમાં ગુજરાતમાં ખેડૂતો પણ હવે સહાનુભૂતિ બતાવી રહ્યા છે, જેમાં ચૂંટણી સમયે ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પરોક્ષ રીતે આંદોલનમાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે મતદાન સમયે પણ ભાજપના વિરોધમાં મતદાન કરે એવો ચોંકાવનારો અણસાર પાર્ટીના આંતરિક સર્વેમાં બહાર આવ્યો છે.ભારતનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિન વધતા જતા ભાવો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ચુપકીદી પર મોટા સવાલ ઊભા થયા છે. કોરોના સંક્રમણના સમયે નોકરિયાતોના પગાર ઘટી ગયા છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગી એવા ઇંધણના ખર્ચ લોકોને પોસાય એમ નથી. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાને કારણે મોંઘવારી પણ માઝા મૂકી રહી છે, જેમાં મધ્યમવર્ગ પિસાઇ રહ્યો છે, તેથી એની અવળી અસર મતદાન પર થઈ શકે છે.

    કોરોના સંક્રમણને કારણે સંખ્યાબંધ યુવાનો અને નોકરિયાતોએ તેમની નોકરી ગુમાવી છે અને નવી નોકરી મળતી નથી ત્યારે બેકારી વધતી જાય છે. સરકારની સહાય યોજનાઓ તેમજ વિવિધ પેકેજના લાભો પણ તેમને મળી શક્યા નથી, કારણ કે આર્થિક મદદમાં બેન્કો જોડાયેલી હોવાથી અરજદારોને માત્ર ધક્કા ખાવા પડ્યા છે. સ્વરોજગાર માટે નિર્ધારિત કરેલી સંખ્યામાં લોન મળી નથી. સ્થાનિક ચૂંટણીમાં કેન્દ્ર અને પ્રદેશના મોટા ત્રણ મુદ્દાને બાદ કરતાં સ્થાનિક કક્ષાએ સરકારની યોજનાઓનો લાભ મળ્યો નથી એવા પરિવારો દુઃખી છે. કોઇ ગામ કે શહેરમાં રસ્તાની સુવિધા નથી. કોઇ શહેરમાં લાઇટ અને પાણીના પ્રશ્નો છે.

    અગાઉની બોડીમાં આવી ચૂકેલા કાઉન્સિલરો અને સભ્યોના ભ્રષ્ટાચાર એટલા મોટા પ્રમાણમાં વ્યાપ્ત છે કે સામાન્ય લોકો મતદાન કરવાથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યા છે. વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર ચાલે છે. કોરોના સંક્રમણ વચ્ચે ઘેરાયેલી સાડાછ કરોડની જનતા માટે સરકારની યોજનાઓનાં ઇચ્છિત પરિણામો મળી શક્યાં નથી. કેન્દ્ર અને રાજ્યના આર્થિક પેકેજના લાભો મોટા ભાગના જરૂરિયાતમંદોને મળી શક્યા નથી. ખાનગી નોકરી કરતા યુવાનોની રોજી છીનવાઇ છે. નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વચ્ચે આવેલી ચૂંટણી લોકો માટે નીરસ સાબિત થઈ રહી છે.


Download Our B K News Today App



Related News