અમદાવાદ IIMમાં વિદ્યાર્થીઓ સાથે હવે કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા, વધુ 32 કેસો નોંધાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:58:10
  • Views : 278
  • Modified Date : 2021-04-01 11:58:10

    રાજ્યમાં કોરોનાના કેસોમાં અમદાવાદ શહેર હોટ સ્પોટ બની ગયું છે જેમાં હવે અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ બનતાં ગંભીર પરિસ્થિતિ બની રહી છે. IIMમાં 223 વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ 30-31 માર્ચે IIMમાં 292 લોકોના RTPCR અને રેપીડ ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ 32 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 12 વિદ્યાર્થીઓ, 1 પ્રોફેસર અને 11 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, 7 કોમ્યુનિટી મેમ્બર સહિતના લોકો પોઝિટિવ આવ્યા છે. IIMમાં કુલ 84 એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ 51 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

    અમદાવાદ IIM ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા અને તેઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ IIMમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને સ્ટાફનો RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. IIM ઇન્સ્ટિટયૂટ દ્વારા આ મામલે કેસોની વિગતો જાહેર કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા.

    IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા જતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 223 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 98 વિદ્યાર્થીઓ, 5 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 28 ઓફ કેમ્પસ સ્ટાફ, 30 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 48 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો.

    જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા. જયારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ કોરોના ટેસ્ટમાં પોઝિટિવનો આંકડો હવે કુલ 100 ઉપર પહોંચ્યો છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

    26 માર્ચથી શરૂ થયેલી PGના અલગ અલગ વિષયોની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષા આપતી 3 વિદ્યાર્થીના હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે નવગુજરાત કોલેજમાં આવેલ સી સી શેઠ કોલેજના 3 વિદ્યાર્થીઓને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોલેજના પ્રિન્સિપાલ સાથે વાત કરી હતી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા તેઓને બાકીની પરીક્ષા ના આપવા જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલી PGની પરીક્ષા ફરજિયાત ઓફલાઈન યોજાઈ રહી છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપી શકે તેમને બીજી તક આપવા જણાવવામાં આવ્યું છે.

    અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપતા સીસી શેઠ કોલેજના 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 620 નવા કેસ અને 595 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,358 પર પહોંચ્યો છે.


Download Our B K News Today App



Related News