અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-15 10:20:24
  • Views : 105
  • Modified Date : 2023-04-15 10:20:24

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારમાં સેનાના ચાર જવાનોના મોત બાદ વધુ એક મોટી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. 

હાલ કહેવામાં આવી રહ્યું છે કે ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી જાણકારી  મુજબ જવાનની ઓળખ લઘુરાજ તરીકે થઈ છે અને મૃતક જવાનના મૃતદેહને ભટિંડાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ વિશે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ આકસ્મિક ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મિલિટ્રી સ્ટેશન પર ગઇકાલે એટલે કે બુધવારે વહેલી સવારે ચાર સૈનિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એ સમયે એ લોકો ભટિંડા લશ્કરી સ્ટેશનમાં તેમની બેરેકમાં સૂઈ રહ્યા હતા.  આ સાથે જ હત્યારાઓની હજુ સુધી ઓળખ નથી થઈ અને હત્યાના ઘણા કારણો જાણવામાં આવી રહ્યા છે. 

નોંધનિય છે કે હત્યાના સ્થળેથી મળી આવેલા હથિયારો અને ઇનસાસ રાઈફલના 19 ખાલી શેલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 9 એપ્રિલના રોજ સ્ટેશનના શસ્ત્રાગારમાંથી 28 રાઉન્ડના મેગેઝિન સાથેની રાઈફલની ચોરી થઈ હતી અને સેનાએ ભટિંડામાં પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. આ સાથે જ આઈપીસીની કલમ 302 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એ ચારેય સૈનિકો આર્ટિલરીની 80 મીડિયમ રેજિમેન્ટના હતા અને તેમાંથી ત્રણ ખાસ વાહનોના ડ્રાઇવર હતા જેઓ આર્ટિલરી ગન ખેંચતા હતા.

મળતી જાણકારી અનુસાર ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા અને તેમના ચહેરા કપડાથી ઢાંકેલા હતા. ચાર જવાનોની હત્યા કર્યા બાદ બંને જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જ્યારે સેના અને પોલીસ કડીઓ માટે સીસી ટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે

Download Our B K News Today App



Related News