દાદા-દાદીના ઘરમાં રૂપિયા જોઈને મિસ્ત્રીએ તેમની હત્યાનો પ્લાન ઘડ્યો, આસપાસના લોકો અલર્ટ હોવાથી હત્યા માટે વતનથી સ્વજનોને બોલાવ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 12:28:02
  • Views : 382
  • Modified Date : 2021-03-09 12:28:02

    ઝાયડસ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે, જેમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

    આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો, પરંતુ લૂંટ કરતાં પહેલાં આસપાસના લોકો અલર્ટ થઈ જાય એવી આશંકા હોવાથી તેણે મધ્યપ્રદેશમાં રહેતાં પરિવારજનોને અમદાવાદમાં લૂંટ કરવા માટે સમજાવ્યાં હતાં. તેના પ્લાન પ્રમાણે આરોપીઓ બનાવના આગલા દિવસે અમદાવાદ આવ્યા હતા. અને પહેલા તેઓ શાંતિ પેલેસ બંગલોઝની બહાર ભેગા થઈને એકસાથે જ ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. ઘરમાં ગયા એ દરમિયાન વુદ્ધ અશોકભાઈ અલર્ટ થઈ જતાં પહેલાં આરોપીએ તેમની હત્યા કરી, ત્યાર બાદ જ્યોત્સ્નાબેન સીડીમાં હતાં ત્યાં જ તેમને પણ રહેંસી નાખ્યાં હતાં.

    આરોપીઓ પોતાની સાથે ધારદાર હથિયાર લઈને આવ્યા હતા. હાલ તમામ આરોપીઓની ઊલટતપાસ ચાલી રહી છે. આ અંગે ક્રાઈમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશનર ડી.પી. ચૂડાસમાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ઘરમાં કામ કરતી વ્યક્તિએ તેનાં સ્વજનોને મધ્યપ્રદેશથી બોલાવ્યાં હતાં અને પાંચ આરોપીને આજે ઝડપી લીધા છે. આજે વહેલી સવારે છેલ્લો આરોપી પણ ઝડપાયો છે. અને સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે.

    શાંતિ પેલેસમાં રહેતાં અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારા બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સ્નાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો ચારેયને લઈને અમદાવાદ આવી જશે.

    અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવારનવાર દુબઈથી અમદાવાદ કરતાં હોવાથી તેમનું પાસે સોનું વધારે મળવાની શક્યતા હોવાથી લૂંટારાઓ તેમના બંગલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ બંને 3 મહિનાથી દુબઈ ગયાં ન હતાં.

Download Our B K News Today App



Related News