રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નિકોલમાં 'લલકાર રેલી', 14 માંગો પૂર્ણ કરવા હુંકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 10:34:09
  • Views : 182
  • Modified Date : 2022-04-17 10:34:09

 

 

આજે નિકોલમાં દલિત સમાજ દ્વારા લલકાર રેલીનું આયોજન

14 અલગ-અલગ માંગને લઈને લલકાર રેલીનું આયોજન

જિગ્નેશ મેવાણીએ પણ સરકારને આપી છે ચેલેન્જ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ રેલીમાં દલિત સમાજના યુવકો સામે થયેલા કેસ પરત ખેંચવા માંગ કરાઇ છે તો સરકારની યોજનાઓમાં દલિત સમાજને 8 ટકા લાભ આપવાની પણ માંગ કરાઇ છે. શહેરના દરેક વોર્ડમાં અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાની દલિત સમાજ દ્વારા માંગ કરાઇ રહી છે.

આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આંદોલનની શરૂઆત લલકાર રેલીથી કરાઇ હતી

 

ઉલ્લેખનીય છે કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે 14 એપ્રિલના રોજ 14 માંગો સાથે વધુ એક આંદોલનની શરૂઆત લલકાર રેલીથી કરાઇ હતી. જેમાં જિગ્નેશ મેવાણીએ સરકારને ચેલેન્જ આપી હતી. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આંદોલન તેજ થયા છે ત્યારે પાટીદાર સમાજ સામે થયેલા આંદોલન અંતર્ગત સરકાર દ્વારા કેસ પરત ખેંચવામાં આવી રહ્યાં છે. જ્યાર બાદ હવે દલિત સમાજ પણ મેદાને આવ્યો છે.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લલકાર રેલીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાજરી આપી હતી અને સરકારને તમામ માંગ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 ટકા સુધી લઇ જવાની માંગ, દરેક વોર્ડમાં સરકારી અંગ્રેજી સ્કૂલ, દલિત સમાજ પર થયેલા કેસો પરત ખેંચવાની માંગ આમ અલગ-અલગ 14 માંગો સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાણો દલિત સમાજ દ્વારા સરકાર સમક્ષ કઇ-કઇ માંગ કરાઇ?

અનુસૂચિત સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા માંગ

દરેક વોર્ડમાં સરકારી શાળામાં અંગ્રેજી શાળા રાખવા માંગ

દલિત સમાજ પર થયેલા અત્યાચારમાં થાનગઢ સંજયપ્રસાદ કમિટીનો રિપોર્ટ જાહેર કરવા માંગ

રાજ્યમાં સરકારી યોજનાનો લાભ 8 લાખ સુધી કરવા માંગ

રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની પણ દલિત સમાજ દ્વારા માંગ

 

અમારી 14 માંગણીઓ નહીં સંતોષાય તો....: જિગ્નેશ મેવાણી

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, 'મનુષવૃત્તિને ખતમ કરીને ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે ભારત ભૂમિમાં આ દેશના તમામ ગરીબો, શોષિતો, વંચિતો કે કોઇ પણ જ્ઞાતિ કે ધર્મના હોય બધાને એક ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની સ્થાપના માટે ગુજરાતનું, દેશનું અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ એક બંધારણ આપ્યું. આ બંધારણે કેટલાંક મૂળભૂત અધિકારો આપ્યાં પણ આ કહેવાતા મનવાદીઓના RSSના શાસનમાં ફરી પણ આ દેશના દલિતો, આદિવાસીઓ, લઘુમતી વંચિતોને તેમના મૂળભૂત અધિકારો મળ્યા નથી. આ સમાજને સતત જાતિ અને ધર્મના નામે વહેંચવાની કોશિશ થઇ રહી છે. અને ગુજરાતની અંદર જે પ્રમાણે ઉનાકાંડ થયો, થાનગઢ હત્યાકાંડ થયો, ભાનુભાઇ વણકરે આત્મવિલોપન કર્યું, સફાઇ કામદારોએ ગટરમાં ઉતરીને સતત મરવું પડે, હજારો એકરો જમીનોના કબજા ના સોંપવામાં આવે જેવાં તમામ પ્રશ્નોને લઇને 131મી જન્મજયંતિ નિમિત્તે, 14મી એપ્રિલ નિમિત્તે 14 મુદ્દાઓ લઇને નવેસરથી માત્ર ઉજવણી નથી કરી રહ્યાં પરંતુ RSS અને ભાજપની સરકારને, મોદી અને પટેલ સાહેબની સરકારને ચેલેન્જ આપીએ છીએ કે જો અમારી 14 માંગણીઓ નહીં સંતોષાય તો ફરી એક વાર ઉનાકાંડ વખતે દલિતોએ પોતાની જે તાકાત અને એકતાનો પરિચય કરાવ્યો હતો એના એંધાણ ફરી કરવાના છીએ.

 

 

Download Our B K News Today App



Related News