ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગમાં મોતનો આંકડો 16એ પહોંચ્યો, 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી જીવતા ભૂંજાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 10:51:29
  • Views : 242
  • Modified Date : 2021-05-01 10:51:29

    ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે.

    ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 16 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

    બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.

    હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 દર્દીઓ સહિત 16 લોકો બેડમાં બળીને ખાક થઇ ગયા હોવાનુ પ્રથામિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા હોવાના એહવાલ સાંપડ્યા છે. બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા તો બીજી તરફ આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કમગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

    ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇએએસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવા આદેશ કર્યા છે.


Download Our B K News Today App



Related News