રાજકોટના 10 ગામમાં 60 વર્ષથી ઉપરના અને કોમોર્બીડ લોકોમાં 100 ટકા રસીકરણ, 45 વર્ષથી ઉપરના લોકોનું 1 એપ્રિલથી વેક્સિનેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 14:05:22
  • Views : 232
  • Modified Date : 2021-03-25 14:05:22

    કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં 60 વર્ષ અને તેની ઉપરના તમામ લોકો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના નાગરિકોને કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલી 20 જાતની બીમારી લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના 10 ગામોમાં આવા લોકોનું 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ છે. ગામડાના લોકોમાં રસીકરણ અંગે જાગૃતતા વધારે જોવા મળી રહી છે.

    રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 60 વર્ષથી ઉપરના અને 45થી 60 વર્ષની વચ્ચેના ગંભીર બિમારી ધરાવતા 77929 લોકોને, આરોગ્ય વિભાગમાં કામ કરતા 10505 કર્મચારીઓને તેમજ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ અને પંચાયત સ્ટાફના 12337 લોકો સહિત કુલ 1,00,771 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના 6, ધોરાજી, જામકંડોરણા, ગોંડલ અને લોધિકા તાલુકાના 1-1 ગામ મળી કુલ 10 ગામમાં ત્રીજા તબક્કાનું 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

    આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પડધરી તાલુકાના કેરાળા, ફતેપર, મોટારામપર, અમરેલી, મેટોડા અને બાધી ગામ તેમજ ધોરાજી તાલુકાનું નાની વાવડી ગામ, જામકંડોરણા તાલુકાનું નવા માત્રાવડ ગામ, ગોંડલ તાલુકાનું નાના મહિકા ગામ અને લોધિકા તાલુકાનું જસવંતપુર ગામમાં અત્યાર સુધી 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે સરકારની ગાઈડલાઈન મુજબ એપ્રિલ મહિનામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણની કામગીરી હાથ ધરાશે.


Download Our B K News Today App



Related News