ગુજરાતના બુકીબજારમાં 1 હજાર કરોડનો સટ્ટો, ભાજપ હોટ ફેવરિટ; બુકીઓએ કહ્યું- અમદાવાદમાં 153, રાજકોટમાં 51, સુરતમાં 86 બેઠક BJPને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-18 13:37:43
  • Views : 356
  • Modified Date : 2021-02-18 13:37:43

    સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્રિકેટ હોય, વરસાદ હોય કે પછી ચૂંટણી હોય બુકીબજારમાં ગરમાવો અવશ્ય આવે છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 1 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો છે. કરોડો રૂપિયાના સોદા પડી ગયાનું બુકીબજારમાંથી જાણવા મળ્યું છે. બુકીબજારના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ફરી ભાજપની સત્તા આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પંટરોએ ઓનલાઈન ID ભાવ લેવાનું શરૂ કરી દીધું છે. બુકીઓના કહેવા મુજબ, રાજકોટમાં 51, અમદાવાદમાં 153 અને સુરતમાં 86 બેઠક ભાજપને મળશે.


    રાજકોટના મોટા ગજાના એક બુકીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે સુરતમાં કુલ 120 બેઠકમાંથી ભાજપને 86 બેઠક, અમદાવાદમાં 192 બેઠકમાંથી 153, વડોદરામાં 76 બેઠકમાંથી ભાજપને 60, રાજકોટમાં 72 બેઠકમાંથી ભાજપને 51, ભાવનગરમાં 62 બેઠકમાંથી ભાજપને 36 બેઠક અને જામનગરમાં 64 બેઠકમાંથી ભાજપને 42 બેઠક મળશે. આ તમામે તમામ 6 મહાનગપાલિકાની બેઠકો પર ભાવ ખૂલી ગયા છે. ગુજરાતમાં 6 મહાનગપાલિકાની કુલ 576 બેઠકમાંથી ભાજપને 425 બેઠક મળશે.

    તેણે વધુમાં જણાવ્યું હતું કે સતત ભાવનું અપડેટ ઓનલાઈન IDમાં શનિવાર સુધી ચાલુ રહેશે. મતદાન બાદ પણ ફરીથી બુકીબજાર ભાવ ખોલશે. મતદારો કંઇ તરફ છે એ મતદાન થયા બાદ નવો ટ્રેન્ડ જાણી ફરીથી ભાવ કાઢવામાં આવશે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1 હજાર કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે.રાજકોટમાં 51 બેઠક ભાજપને મળે કે ન મળે, એ માટે જેટલા રૂપિયા પંટરો લગાડે એટલા સામે બુકી લગાડે છે. ધારો કે 10,000 રૂપિયામાં ઓનલાઈન સટ્ટાના IDમાં ભાજપને 51 બેઠક મળશે તો પંટરોને ફાયદો થાય અને જો પંટરોએ ના પાડવી હોય ઓનલાઈન ID પર તે ના પાડી શકે છે. પંટરોએ હા પાડી હોય અને 51 બેઠક આવે તો 10,000 રૂપિયા પંટરોને મળે છે અને જો ના આવે તો 10,000 બુકીને મળે છે.

    પહેલાં ફોન વારંવાર કરવા પડતા હતા, પરંતુ હવે ઓનલાઈન સટ્ટામાં પહેલેથી જ પાસવર્ડ અને સાંકેતિક કોડવર્ડ આપી દેવામાં આવે છે. આ બધું જ પોલીસને નરી આંખે દેખાય છતાં તેની મીઠી નજર હેઠળ સટ્ટાકાંડ ચાલી રહ્યું છે. ઓનલાઈન સટ્ટામાં પૈસાની લેવડદેવડ વિશ્વાસથી કરવામાં આવે છે. સટ્ટાના પૈસાની લેવડદેવડ ચાની કેબિન, પાનના ગલ્લા કે આંગડિયા પેઢીમાં પણ થતી હોય છે. નાના માણસોને જ સટ્ટામાં ખપાવી દેવામાં આવે છે, જ્યારે મોટાં નામો ધરાવતા સટોડિયાઓ ક્યારેય પકડાતા જ નથી.


Download Our B K News Today App



Related News