અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીનાં પૂતળાં બાળવામાં આવ્યાં, સેક્ટર 2 સ્ક્વોડના PSI અને કૃષ્ણનગર પોલીસ જ ઊંઘતી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 12:48:17
  • Views : 500
  • Modified Date : 2020-11-04 12:48:17

         રાજ્યમાં આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં મોરબી બેઠકમાં પ્રચાર દરમિયાન ઉત્સાહના અતિરેકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા વિશે જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ કરવામાં આવતાં દલિત સમાજના લોકોમાં રોષ ફેલાયો છે અને ઠેર ઠેર નાયબ મુખ્યમંત્રીનાં પૂતળાં બાળવાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે જગ્યાએ નાયબ મુખ્યમંત્રીના જાહેર રોડ પર પૂતળાં બાળવામાં આવ્યાં હતાં. સેકટર 2 પોલીસ નીતિન પટેલનાં પૂતળાં બાળવાના કાર્યક્રમને અટકાવવામાં નિષ્ફળ રહી છે. મેઘાણીનગર અને કૃષ્ણનગર બંને વિસ્તારમાં દલિત કાર્યકરોએ પૂતળાં બાળતાં પોલીસે પોતાની લાજ બચાવવા ગુનો નોંધ્યો છેસેકટર 2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડના PSI જ્યાં ફરજ બજાવે છે એવા મેઘાણીનગર વિસ્તારમાં દલિત પેંથર દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પૂતળું બાળવામાં આવ્યું હતું. 24 કલાકમાં માફી માગવા માટે વિવિધ દલિત સંગઠનો દ્વારા માગ કરવામાં આવી હતી, પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પેટનું પાણી પણ ન હલતાં હવે દલિત પેંથરના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે નાયબ મુખ્યમંત્રીનું પૂતળું કાર્યકરો બાળવાના હતા અને મેઘાણીનગર પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. પોલીસને આ કાર્યક્રમ અંગે જાણ જ ન હતી અને પોલીસ આ ઘટનાક્રમમાં જાણ બહાર રહેતાં નીતિનભાઈ પટેલનું પૂતળું બાળવામાં આવ્યું હતું..ઉપરાંત કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા પ્રભાકર ટેનામેન્ટ ચાર રસ્તા પાસે મોડી રાતે કેટલાક લોકોએ ભેગા થઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પૂતળું બાળ્યું હતું. એ અંગે કૃષ્ણનગર પોલીસને મોડે મોડે જાણ થઈ હતી, જેથી પોલીસ તપાસ કરવા ત્યાં પહોંચી હતી અને પૂતળું બાળ્યાની હકીકત હોવાને લઇ પોલીસે પોતાની નિષ્ફળતા છુપાવવા કાયદેસરની કાર્યવાહી માટે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે. કૃષ્ણનગર પીઆઇ જે. આર પટેલ અને પોલીસ સ્ટેશન સ્ટાફ સદંતર નિષ્ફળ રહ્યા હતા.

Download Our B K News Today App



Related News